ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમથી પ્રભારી સાતવ નારાજ થયા હતાં. વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ જતાં સાતવ નારાજ થયા હતાં. પ્રદેશના સિનિયર નેતાઓથી સાતવ નારાજ થયા હતાં.
સિનિયર નેતાઓએ સામે ચાલીને અટકાયત વહોરતા પ્રભારી અકળાયા હતાં. ગુજરાતના નેતાઓ નબળા પડતા પ્રભારી અકળાયા હતાં. પ્રભારી આ અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે. ઓછી સંખ્યાને લઇ પણ નેતાઓનો ઉધડો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્ર મળ્યું હતું. જેમાં પ્રથમ દિવસે સ્વ.અટલ બિહારી વાજપેઈને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મોકૂફ કરાયું હતું. ત્યારે કોંગ્રેસે બીજા દિવસે રાજ્યના અલગ અલગ મુદાઓને ધ્યાને લઈને વિધાનસભાના ઘેરાવાનો કાર્યક્રમ આપ્યો હતો. પરંતુ કોંગ્રેસના આ કાર્યક્રમ સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. જેમાં અનેક ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.
ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની હાજરી ખૂબ ઓછી દેખાઈ હતી. ખાસ ખેડૂતોના દેવા માફી મામલે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતું ખેડૂતોની હાજરી બહુ પાંખી જોવા મળી હતી અને તેને લઈને ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓને આડેહાથ લીધા હતા.
આપને જણાવી દિઇએ કે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે પોલીસ સરકારના ઈશારે કામ કરીને આ દેખાવો ન થાય તે માટે સક્રિય હતી..ત્યારે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં અને તેમના સમર્થનમાં કોઈ છે નહીં તેથી આવી વાતો કરે છે.