બોટાદ લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસે ગૃહરાજ્યમંત્રી સંઘવીનું રાજીનામું માંગ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા. આ સાથે લઠ્ઠાકાંડ મામલે પોલીસ તંત્ર જ જવાબદાર હોવાનું કહ્યું હતું. અમિત ચાવડાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બરવાળામાં જે રીતે લઠ્ઠાકાંડ થયો તે કોઇ લઠ્ઠાકાંડ નહીં પરંતુ હપ્તાખોરી સિસ્ટમને કારણે થયેલો હત્યાકાંડ છે.
શું કહ્યું અમિત ચાવડાએ ?
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગામલોકો દ્વારા અનેક રજુઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ હપ્તાખોરીના કારણે લોકોના મોત થયા છે. આવા સંજોગોમાં અમારી માંગણી છે અને લોકોનો આક્રોશ છે કે, આ જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે. આ સાથે તાત્કાલીક આ ઘટનાની તપાસ કરી એમાં જે પણ જવાબદારો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
સરકાર કંઈ છુપાવવા નથી માંગતી, આ રાજનીતિનો વિષય નથી: વાઘાણી
આ તરફ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અમને મુખ્યમંત્રીએ મોકલ્યા છે, આ રાજનીતિ કરવાનો વિષય નથી. સમગ્ર ઘટનાને ળાઇ એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કમિટીના ચેરપર્સન શુભાષ ત્રિવેદી નીમવામાં આવ્યા છે. આ કમિટી ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે જે બાદમાં કોઈને બક્ષવામાં નહી આવે. આ સાથે કસૂરવાર પર ચાર્જ સહિત કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું.