સુરતમાં રસ્તા પરથી પકડાયેલા પશુને ભેસ્તાન ખાતે રાખવામાં આવે છે જ્યાં ઢોરવાડામાં વ્યવસ્થાનો અભાવ હોવાથી એડવોકેટે મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે.
સુરતના એડવોકેટે મહાનગરપાલિકાને ફટકારી નોટિસ
ભેસ્તાન સ્થિત ઢોરવાડામાં પશુઓની દયનીય હાલત અંગે નોટિસ
PCA એક્ટના ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવા માગ
ઢોરવડા મામલે સુરત મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. શહેરમાંથી રખડતા ઢોરને પકડી સુરત પાલિકા દ્વારા ભેસ્તાન ખાતે આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે. જયાં પ્રાણીઓને અમાનવીય રીતે અને ક્રૂરતા પૂર્વક રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. એટલુ જ નહિ આ મામલે એડવોકેટ કૌશિક રાણાએ મહાનગરપાલિકાને લીગલ નોટિસ ફટકારતા આ મુદ્દો સમગ્ર સુરત શહેરમાં ગાજી રહ્યો છે.
પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવતા હોવા સહીતની સમસ્યા
રખડતાં ઢોર મામલે સુરત મનપાની કામગીરી સામે સાવલો ઊભા થયા બાદ તંત્ર હવે ઢોર પકડમાં મામલે એક્શનમાં આવી કાર્યવાહી કરી રહ્યું છે. રખડતા ઢોરને પકડી તંત્ર દ્વારા ભેસ્તાન સ્થિત ઢોરવાડામાં રાખવામાં આવી રહ્યા છે. જે અંગે જાગૃત નાગિરકો દ્વારા આ ઢોરવાડાની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવતા હોવા ઉપરાંત બેસવાની પણ વ્યવસ્થાનો અભાવ હોવાનું સામે આવ્યું હતું . વધુમાં પશુઑની યોગ્ય સંભાળ રાખવામાં ન આવતી હોવાથી પશુની હાલત દયનિય બની છે. જેને લઇને સુરતના એડવોકેટ કૌશિક રાણાએ સુરત મહાનગરપાલિકાને લીગલ નોટિસ ફટકારી છે.
કાયદેસરના પલગાં લેવાની નોટિસમાં ચીમકી ઉચ્ચારાઈ
પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 3 મુજબ પ્રાણી જાળવણી કરતી સંસ્થા કે, વ્યક્તિની પ્રાણીની સુખાકારી માટે પગલાં લેવાની ફરજ બને છે. જેમાં પ્રાણીઓ માટે બનાવેલા પીસીએ એક્ટનું પાલન થાય તેટલી માત્રામાં પશુઑને રાખવા જોઇએ. સરકાર દ્વારા નવેમ્બર 2014માં ઢોર ડબ્બા ઉપર નિરીક્ષણ રાખવાની જવાબદારી કલેકટરને આપવામાં આવી છે. પરંતુ સુરતમાં પ્રાણીઓને ઢોર ડબ્બામાં રાખવામાં માટે પૂરતી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી કલેકટરને લીગલ નોટિસ ફટકારી આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવે તો કાયદેસરના પલગાં લેવાની નોટિસમાં ચીમકી ઉચ્ચારાઈ છે.