કોરોના વાયરસનું XBB1.16 સ્વરૂપ સૌપ્રથમ જાન્યુઆરીમાં સામે આવ્યું હતું જ્યારે બે સેમ્પલ તેના માટે પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં 59 સેમ્પલ તેનાથી સંક્રમિત જોવા મળ્યા હતા
કોવિડ-19ના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાનું આ કારણ હોઈ શકે
INSACOG ડેટા અનુસાર કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ જોવા મળ્યું
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો હોઇ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ તરફ હવે કોવિડ-19ના 76 સેમ્પલમાં કોરોના વાયરસના XBB1.16 ફોર્મથી સંક્રમિત હોવાની પુષ્ટિ થતાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. વાત જાણે એમ છે કે, દેશમાં કોવિડ-19ના કેસોમાં તાજેતરમાં થયેલા વધારાનું આ કારણ હોઈ શકે છે. આ દાવો INSACOGના નવીનતમ ડેટાના આધારે કરવામાં આવ્યો છે.
INSACOG ડેટા અનુસાર, જે સેમ્પલમાં કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ જોવા મળ્યું છે, તેમાંથી 30 કર્ણાટકના, 29 મહારાષ્ટ્રના, સાત પુડુચેરીના, પાંચ દિલ્હીના, બે તેલંગાણાના, એક-એક ગુજરાત-હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેસ જોવા મળ્યા છે. મહત્વનું છે કે, કોરોના વાયરસનું XBB1.16 સ્વરૂપ સૌપ્રથમ જાન્યુઆરીમાં સામે આવ્યું હતું જ્યારે બે સેમ્પલ તેના માટે પોઝિટિવ આવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં 59 સેમ્પલ તેનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ રચાયેલ ભારતીય SARS-Cov-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ જણાવ્યું હતું કે, માર્ચમાં અત્યાર સુધીમાં 15 નમૂનાઓમાં XBB1.16 વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. કેટલાક નિષ્ણાતો વાયરસના આ નવા સ્વરૂપને કોવિડ-19ના નવા કેસોમાં તાજેતરના વધારા માટે જવાબદાર ગણાવી રહ્યા છે.
ડૉ. રણદીપ ગુલેરિયાએ શું કહ્યું?
રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોવિડના કેસોમાં વધારો XBB1.16 વેરિઅન્ટને કારણે જણાય છે, જ્યારે ઈન્ફલ્યુએન્ઝા કેસ H3N2ને કારણે છે.. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના કેસો ગંભીર સ્વભાવના નથી, તેથી અત્યારે ગભરાવાની કે ડરવાની કંઈ જ નથી.
ઇન્ડિયન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સના ભૂતપૂર્વ કન્વીનર અને બિજનૌરની મંગલા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના બાળરોગ નિષ્ણાત વિપિન એમ. વશિષ્ઠે જણાવ્યું હતું કે, નવું XBB1 .16 ફોર્મેટ ઓછામાં ઓછા 12 દેશોમાં જોવા મળ્યું છે અને તેના મોટાભાગના કેસો ભારતમાં જોવા મળ્યા છે. અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર અને બ્રિટનમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.
All eyes should be on India! If XBB.1.16 aka #Arcturus could succeed to wade through the ‘sturdy’ population immunity of Indians that successfully resisted the onslaught of variants like BA.2.75, BA.5, BQs, XBB.1.5, then whole world must be seriously worried!! pic.twitter.com/PZYuM7hD7Q
14 દિવસમાં કોવિડ-19ના નવા કેસોમાં મોટો ઉછાળો
ઇન્ડિયન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સના ભૂતપૂર્વ કન્વીનર અને બિજનૌરની મંગલા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના બાળરોગ નિષ્ણાત વિપિન એમ. વશિષ્ઠે ટ્વિટ કરીને કહ્યું, ભારતમાં છેલ્લા 14 દિવસમાં કોવિડ-19ના નવા કેસોમાં 281 ટકાનો વધારો થયો છે અને આ રોગથી મૃત્યુઆંક 17 ટકા વધ્યો છે. ભારતમાં 126 દિવસમાં શનિવારે એક દિવસમાં મળી આવેલા કોવિડ-19 ચેપના નવા કેસની સંખ્યા 800ના આંકડાને વટાવી ગઈ છે. દેશમાં સારવાર કરાયેલા કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5389 થઈ ગઈ છે.