અમૃતસર રેલ દુર્ઘટના બાદ હજુ પણ લોકોનો રોષ શમ્યો નથી. મૃતકોના પરિવારજનો દ્વારા આ મુ્દે થઈ રહેલા વિરોધના પગલે પોલીસ પહોંચી હતી. ત્યારે મૃતકોના પરિવારજનો અને પ્રદર્શનકારીઓ દ્વારા ઝપાઝપી થઈ. જેમાં પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો.
પોલીસ પર પથ્થરમારો થતા પોલીસને ભાગવાની ફરજ પડી. આ પથ્થરમારામાં RAFના એક જવાબ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે આયોજકો સામે ફરિયાદ દાખલ ન થતા તેઓમાં રોષ છે. તો ઘટના બાદ પોલીસે કેટલાક યુવકોની અટકાયત પણ કરી છે.
અમૃતસરમાં રાવણદહન દરમિયાન અકસ્માતમાં 60 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 51 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આ મામલે એક પછી એક ચોકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.તમને જણાવી દઇએ કે ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહ ઘટનાના 15 કલાક બાદ અમૃતસર પહોંચ્યા. જ્યાં તેઓએ એરપોર્ટ પર ખાસ બેઠક યોજી અને બાદમાં ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી. બાદમાં તેઓએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ઈઝરાયલ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાની માહિતી મળી. આ સમય તૂ તૂ મેં મેં કરવાનો નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ એક મોટી દુર્ઘટના છે અને તેનું ભારોભાર દુઃખ પણ છે. પીડિત પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. દેશ પણ પીડિત પરિવાર સાથે છે. આ દુર્ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસ થશે. ચાર અઠવાડિયામાં તપાસ રિપોર્ટ પણ માંગવામાં આવી છે. મોટાભાગના મૃતદેહોની ઓળખ પણ થઈ ચૂકી છે અને 9 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે.