અડધા ભારતમાં દુષ્કાળ ડોકિયા કરી રહ્યો છે. ત્યારે કેરળમાં મેઘાએ તાંડવ મચાવ્યું છે. નદીઓ બે કાંઠા ઓળંગીને ગામો અને જંગલોને ધમરોળી રહી છે તો નાગરિકો ઘરમાં પણ સુરક્ષિત નથી. રાહત શિબિરો પૂર પ્રભાવિત લોકોથી ભરાઈ રહી છે. તો અનેક વિસ્તારો સુધી હજુ રાહત અને બચાવ સેવા પહોંચી નથી. પૂરની વિનાશલીલાનો ભોગ બનેલા લોકોએ મદદ માટે મોકલેલા સંદેશાઓનું ઘોડાપૂર વછૂટ્યું છે.
છેલ્લાં થોડા દિવસથી કેરલમાં વિનાશક પૂરનો કહેર દિવસને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યની સંસ્થાઓ સાથે સાથે આર્મી નૌસેના વાયુસેના અને કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે.
મુખ્યમંત્રી પિરાઈ વિજયન સતત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંપર્કમાં છે અને રાહત અન બચાવનું કાર્ય સતત ચાલુ છે. કેરલમાં વિનાશક પૂર અને ભારે વરસાદના કારણે મોતનો આંકડો 79એ પહોંચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. પૂરની ગંભીર સ્થિતિને જોતા ગૃહમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી પી.વિજયને હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ તરફ પેરિયાર નદીના હેઠવાસમા રહેતા પરિવારોને રાહત શિબિરમાં લાવવામાં આવ્યા છે. એર્નાકુલમમાં 17 914 લોકોને 117 રાહત શિબિરોમાં લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડે એર્નાકુલમમાં હેલિકોપ્ટરની મદદથી બચાવકાર્ય આરંભ્યું હતું.
અત્યારસુધીમાં ત્રિશૂર અલુવા અને પેરુંબવૂરથી અત્યાર સુધી કોસ્ટગાર્ડે 132 લોકોને બચાવી લીધા છે. કર્ણાટક રાજ્યપરિવહન નિગમે ભારે વરસાદને કારણે બેંગલૂરુથી કેરલ જનારી બધી 33 બસ સેવાઓ રદ કરી દીધી છે. કેરલ રાજ્યપરિવહન નિગમે પણ ભૂસ્ખલન અને પૂરને કારણે કેરલ અને બેંગલૂરું વચ્ચેની બધી સેવાઓ હાલ સ્થગિત કરી દીધી છે.
કેરલમાં તિરુવનંતપુરમ કોલ્લમ થ્રિસૂર કોટ્ટાયમ અને એર્નાકૂલમ સહિત અનેક વિસ્તારોમાં તેજગતિથી પવન ફૂંકાઈ રહયો છે. કેરલમાં ભારે વરસાદ અને વિનાશક પૂર વચ્ચે લાખો જિંદગીઓ ઝઝૂમી રહી છે. લોકોના ઘરમાં પાણી ભરાવાની અસંખ્ય ફરિયાદો મળી રહી છે. સોશિયલ મીડિયા પર મદદની અરજ કરતા સંદેશાઓનું ઘોડપૂર ઊમટ્યું છે. રન્ની કોઝનચેરી અરનમૂલા અને આસપાસના વિસ્તારમાં લોકો સુધી બચાવ ટીમ પહોંચી શકી નથી.
કેરલમાં શહેરી વિસ્તારો સુધી પૂરના પાણી પહોંચી ગયા છે જેના કારણે લોકો પોતાના નિવાસસ્થાનેથી પલાયન કરવા મજબૂર બન્યા છે. એક તરફ જ્યાં કેરલમાં સડક અને રેલ આવાગમન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. ત્યા બીજી તરફ રાજ્યનું મુખ્ય કોચ્ચિ હવાઈ મથકમાં પાણી ભરાવાના કારણે શનિવાર સુધી બંધ કરી દેવાની ફરજ પડી છે.
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વિજપુરવઠો સંદેશા વ્યવહાર પેયજળવ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે. સ્થિતિ ગંભીર બનતા રાજ્યસરકારે સેના એનડીઆરએફ અન સૈન્ય એન્જિનિયરિંગની વધારાની ટીમની મદદ માગી છે. મુખ્યમંત્રી પી.વિજયને રાજ્યપાલ પી.સદાશિવમ સાથે પણ મુલાકાત કરીને તેમને પૂરની સ્થિતિથી વાકેફ કર્યા હતા.