કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક હતી કે સરકારી હોય કે ખાનગી દરેક હોસ્પિટલ પર હાઉસફુલના પાટિયા લાગી ગયા હતા. દર્દીઓ આમ તેમ વલખાં મારી રહ્યા હતા.
અમદાવાદ સિવિલમાં કોવિડ દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટ પર પહોંચી
હવે સિવિલ હોસ્પિટલમાં કોવિડના માત્ર 8 જ દર્દી દાખલ
એક સમયે સિવિલમાં 2500 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા
સિવલ બહાર 15 15 કલાક સુધી દર્દીઓ સારવાર માટે રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોના સામેની લડાઈ હવે લોકો જીતી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કોરોનાના 1200માં માત્ર હવે 8 જેટલા દર્દી જ સારવાર લઈ રહ્યા છે. જે ગુજરાત સહિત દેશ માટે એક સૌથી મોટા રાહતના સમાચાર ગણી શકાય કારણ કે
બીજી લહેરમાં 2500 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર
આ એજ હોસ્પિટલ છે જ્યાં 1200ની જગ્યાએ એક સમયે 2500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા છતાં પણ બીજા દર્દીઓને સારવાર માટે રઝળપાટ કરવો પડી રહ્યો હતો. કારણ કે બીજી લહેરમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટમાં ન તો તંત્ર સજાગ હતું ન લોકો. 108 એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ સાધનોમાં પણ લોકો સિવિલ હોસ્પિટલની બહાર ધામા નાખી પોતાનો વારો આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ભગવાનને આ સ્થિતિમાંથી ઉગારી લેવા આજીજી કરી રહ્યા હતા.
હવે સિવિલ હોસ્પિટલમાં માત્ર 8 દર્દી જ
કહેવાય છે કે અણધારી આફત તો આવી પણ તેનો સામનો કરવાની શક્તિ પણ ભગવાને આપી. લગભગ 2 મહિના સુધી વિકરાળ બનેલો કોરોના એક બાદ એક લોકોના પરિજનોને ભરખી રહ્યો હતો. ત્યારે કોરોના સામેની જંગમાં દેશ સહિત ગુજરાતના લોકોએ ખભોથી ખભો મિલાવી તેણે માત આપી. હવે અમદાવાદ સિવિલમાં માત્ર 8 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. જેથી ત્યાંનાં મેડિકલ સ્ટાફ સહિત, તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. સિવિલ તંત્ર લોકોને સજાગ રહેવા તેમજ કોરોના નિયમોને પાળવા અને રસી લેવા લોકોને સૂચન કરી રહ્યા છે.
ત્રીજી લહેરનો ખતરો ટળ્યો નથી
મોટા ભાગના ડોકટરો તેમજ વિશેષજ્ઞોનું માનવું છે કે ઓગસ્ટમાં કોરોના ફરી વખત લોકોનો પોતાનો શિકાર બનાવી શકે છે. પરંતું તે સાથે ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી ખતરનાક હશે તે પણ માની રહ્યા છે.
કોરોના કેસ પર નજર કરીએ તો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 27 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. જ્યારે સતત 11મા દિવસે એક પણ મોત નોંધાયું નથી. રાજ્યના 4 કોર્પોરેશન અને 12 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત પાંચમીવાર ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી, સતત 12 દિવસ રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા. જ્યારે 4 કોર્પોરેશન અને 21 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા હતા.