પંજાબ બાદ છત્તીસગઢમાં પણ કોંગ્રેસ સરકારમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી પહેલા જ કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
છત્તીસગઢમાં કોંગ્રેસમાં જોરદાર ઘમાસાણ
નવરાત્રી પહેલા જ લેવાઈ શકે છે મોટો નિર્ણય
રાહુલ ગાંધી સામે બે નેતાઓ કરી રહ્યા શક્તિ પ્રદર્શન
ધારાસભ્યો પહોંચી રહ્યા છે દિલ્હી
છત્તીસગઢમાં કોંગ્રેસમાં અંદર ચાલી રહેલ વિવાદની વચ્ચે નવરાત્રી પહેલા કોઇ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. મીડિયા અહેવાલોમાં સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર કોંગ્રેસનાં ગઢમાં હવે મુખ્યમંત્રીને બદલીને નવો ચહેરો આગળ કરવામાં આવી શકે છે. જોકે વર્તમાન મુખ્યમંત્રી બઘેલ પણ પોતાની ખુરશી બચાવવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે અને એવામાં બૃહસ્પતિ સિંઘે દાવો કર્યો છે કે 35 ધારાસભ્યો દિલ્હી જશે અને હાઈકમાન્ડ મળે નહીં ત્યાં સુધી પાછા આવશે નહીં.
TS સિંહદેવનાં નિવેદનોથી ધારાસભ્યો નારાજ
છત્તીસગઢનાં મુખ્યમંત્રીનાં સમર્થનમાં ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે કારણ કે રાજ્યનાં મંત્રી ટીએસ સિંહ દેવે આપેલા નિવેદનથી સરકારનાં ઘણા બધા ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે. બૃહસ્પતિ સિંહે કહ્યું કે વારંવાર આવા નિવેદનોથી સરકાર મુશ્કેલીમાં મુકાય છે અને જનતા સવાલો ઊભા કરે છે. નોંધનીય છે કે સિંહદેવે જ કહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન પર હાઇકમાન્ડ નિર્ણય લેશે.
અઢી અઢી વર્ષનાં સીએમ હોવા પર ચાલી રહ્યો છે વિવાદ
નોંધનીય છે કે છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે અઢી અઢી વર્ષનાં મુખ્યમંત્રી રાખવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તેવું માનવામાં આવે છે. એવામાં હાલનાં સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવને મુખ્યમંત્રી બનવું છે તથા તેમના સમર્થનમાં ધારાસભ્યો પણ દોડ લગાવી રહ્યા છે.
વર્તમાન મુખ્યમંત્રીએ કર્યું હતું શક્તિ પ્રદર્શન
નોંધનીય છે કે રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટની જેમ જ છત્તીસગઢમાં પણ બઘેલ અને સિંહદેવ વચ્ચે વિવાદ ચાલતો રહ્યો છે. જોકે થોડા દિવસ પહેલા જ બઘેલે 70 માંથી 54 ધારાસભ્યોની દિલ્હીમાં પરેડ કરાવીને પોતાનું પ્રદર્શન કર્યું હતું.