ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ (DOCA) એ રેસ્ટોરંટને ગ્રાહકો પાસેથી ગેરવસૂલી સેવા ચાર્જ વસૂલવા સામે ચેતવણી આપી છે.
ગ્રાહકો માટે રાહતના સમાચાર
રેસ્ટોરંટના માલિકો અને લોજવાળા વસૂલે છે આ ચાર્જ
ગ્રાહકો બાબતોના વિભાગે ગંભીરતા જાણી આદેશ આપ્યા
ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ (DOCA) એ રેસ્ટોરંટને ગ્રાહકો પાસેથી ગેરવસૂલી સેવા ચાર્જ વસૂલવા સામે ચેતવણી આપી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેન્દ્રીય વિભાગે કહ્યું છે કે, સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં તે સંપૂર્ણપણે ગ્રાહકના વિવેક પર છે અને તે સ્વૈચ્છિક છે.
ગ્રાહકો પાસેથી ફરજિયાતપણે વસૂલે છે આ ચાર્જ
DOCA એ 23 મેના રોજ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી છે કે, રેસ્ટોરંટ અને ખાણીપીણીની દુકાનો હજુ પણ ગ્રાહકો પાસેથી ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલ કરી રહી છે, જોકે તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. વિભાગે કહ્યું છે કે, ગ્રાહક આ માટે કાયદાકીય રીતે બંધાયેલા નથી. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનને પત્ર લખીને જણાવ્યું છે કે, રેસ્ટોરંટ અને ખાણીપીણીની દુકાનો ગ્રાહકો પાસેથી ડિફોલ્ટ સર્વિસ ચાર્જ વસૂલે છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે પણ તાજેતરમાં કહ્યું હતું કે, ગ્રાહકોને રેસ્ટોરંટ દ્વારા નિર્ધારિત ઊંચા દરે સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની બેઠક
સોશિયલ મીડિયા પર સામાન્ય લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા આ મુદ્દાને સ્વતઃ સંજ્ઞાન લેતા, DOCA એ 2 જૂને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગ્રાહકોની વિવિધ ફરિયાદો, રેસ્ટોરન્ટના બિલમાં અન્ય ચાર્જ અને સર્વિસ ચાર્જ ઉમેરવા, સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક અને વૈકલ્પિક હોવા અંગે ગ્રાહકોને જાણ ન કરવી અને સર્વિસ ચાર્જ ન ભરનારા ગ્રાહકોને શરમાવે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
5 વર્ષ પહેલા સૂચના જાહેર કરવામાં આવી છે
2017 માં, ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિર્દેશ જાહેર કરીને કહ્યું હતું કે, સર્વિસ ચાર્જ ધરાવતી કૉલમ ખાલી રાખવી જોઈએ અને ચુકવણી ગ્રાહકના વિવેકબુદ્ધિ પર છોડી દેવી જોઈએ. તત્કાલીન ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક ફી છે અને બિલકુલ ફરજિયાત નથી. જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, જો ગ્રાહકને લાગે છે કે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, તો તે ગ્રાહક વિવાદ નિવારણ આયોગને તેની ફરિયાદ લઈ શકે છે.