બોટાદ કથિત લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોત થયા છે જ્યારે 97 લોકો સારવાર હેઠળ છે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ યોજી આપી માહિતી
બોટાદના બરવાળાના કેમિકલકાંડનો મામલો
ગૃહ વિભાગ કરી પત્રકાર પરિષદ
બે દિવસમાં મૃત્યુઆંક વધી સત્તાવાર રીતે 42 થયો
બોટાદ કથિત લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડ, ગુજરાત સરકારે બુધવારની મોડી સાંજે પ્રેસ યોજી પોલીસની કાર્યવાહી તેમજ મોત આંકડાનો ચિતાર રજૂ કર્યો છે. ગૃહ વિભાગની આ પ્રેસમાં DGP આશિષ ભાટિયાએ કહ્યું કે 600 લિટર કેમિકલ ચોરી થયું હતું જે બાદ બરવાળામાં આ કેમિકલ અલગ અલગ બુટલેગરોને અપાયું છે. કેમિકલ પીવાથી બોટાદના 32 અને અમદાવાદના 10 લોકોના મોત થયા, અત્યાર સુધી પોલીસે 3 કેસ દાખલ કર્યા છે.
કેમિકલ પીવાથી 42 નાગરિકોના મોત થયા: હર્ષ સંઘવી
સમગ્ર મામલે આધિકારિક રીતે પહેલીવાર હર્ષ સંઘવીએ કેમિકલ કાંડ વિશે માહિતી આપતા કહ્યું કે મને ગુજરાતના નાગરિક તરીકે આ ઘટનાથી બહુ દૂખ લાગ્યું, પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.આ કેમિકલથી 42 નાગરિકો મોત થયા છે, 97 સારવાર હેઠળ છે. પહેલા કેસ મળ્યો ત્યારથી મુખ્યમંત્રીની સુચના મુજબ તકેદારી રાખી ઘટનાની આસપાસના વિસ્તારોમાં 30 ટીમોએ લોકોને શોધી હોસ્પિટલ ખસેડયા છે. 1500 પોલીસ કર્મીઓએ દિવસ રાત મહેનત કરી ખેતરો ખૂંદી અસરગ્રસ્તોને શોધી કાઢ્યા છે. અત્યાર સુધી 15 આરોપીને પકડી લેવામાં આવ્યા છે. તપાસ સમિતિ 2 દિવસમાં સરકારને સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપે તેવા આદેશ અપાયા છે. ગામડાઓમાં કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું હોય તો હર્ષ સંઘવીએ તંત્રને જણાવવા પણ સૂચન કર્યું છે.
દેશી દારૂના 2203 કેસ કરીને 1343 આરોપીઓની અટકાયત: ADGP નરસિમ્હા કોમરે
ઝેરી કેમિકલ કાંડ મામલે ગૃહ વિભાગની પત્રકાર પરિષદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હજાર રહ્યા હતા.ADGP નરસિમ્હા કોમરે કેમિકલ કાંડ મામલે માહિતી આપતા કહ્યું કે ધંધુકા, બરવાળા, રાણપુરમાં બનાવો બન્યા, અત્યાર સુધી પોલીસે 3 કેસ દાખલ કર્યા છે. બરવાળામાં 2, રાણપુરમાં 3 મૃત્યુ થયા છે. બોટાદમાં 32, અમદાવાદના 10 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. કુલ 97 દર્દીઓ સારવાર હેઠળ જેમા 2 દર્દીની હાલત ગંભીર છે. બનાવ બાદ રાજ્યભરમાં પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. દેશી દારૂના 2203 કેસ કરીને 1343 આરોપીઓની અટકાયત કરી છે.
2022માં 3 કરોડ 48 લાખનો દારૂ ઝડપાયો. 15312 ગુના નોંધ્યા
તો DGP આશિષ ભાટીયાનું કેમિકલ કાંડ મામલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓની પૂછપરછમાં જે નામો સામે આવ્યા તેમને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. ફેક્ટરી માંથી 600 લીટર કેમિકલ કાઢવામાં આવ્યું હતું. 475 લીટર કેમિકલ રિકવર કરી લેવામાં આવ્યુ છે. ચાલુ વર્ષે દેશી દારૂ મામલે 70 હજાર ગુના નોંધ્યા છે. 66 હજાર આરોપીઓની અલગ અલગ જગ્યાઓએથી અટકાયત કરી, 693 વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. 20 લીટરથી વધુ દારૂ પકડાય તો વાહન જપ્ત થાય છે. 2022માં 3 કરોડ 48 લાખનો દારૂ ઝડપાયો. 15312 ગુના 2022માં નોંધવામાં આવ્યા છે. પાસા હેઠળ 314 બુટલેગર અટકાયત કરી છે.
CM એ તાત્કાલિક ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગને આદેશ કર્યા હતા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું કેમિકલ કાંડ મામલે પ્રતિક્રિયા આપતા માહિતી આપી કે અમદાવાદની એક કંપની માંથી કર્મચારીએ 600 લીટર કેમિકલ ચોર્યુ હતું જે બાદ બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં આ ચોરીનું કેમિકલ વેચવામાં આવ્યુ. કેમિકલને કારણે આપણા 42 નાગરિકો મૃત્યુ પામ્યા છે તેમજ હાલ 97 જેટલા નાગરિકો સારવાર હેઠળ છે.પહેલો કેસ સામે આવતા જ CM એ તાત્કાલિક ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગને સુચનો કર્યા હતા.ગામોમાં ઘરે ઘરે જઈને પોલીસના ચેકિંગ માટે આદેશ કરવામાં આવતા, ટોટલ 2500 થી વધુ પોલીસકર્મીઓએ ખેતરોમાં જઈ જઈને તપાસ કરી છે. ગામમાં શંકાસ્પદ લક્ષણ જણાતા વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
'દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી હતી એટલે કેમિકલ લાવી વેચ્યું'
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે વેચનારથી લઈ કેમિકલ લેનારા સુધીના લોકોને પકડી લેવામાં આવ્યા છે. પોલીસે જે કામગીરી કરી છે તેણે કારણે ગુનેગારોને 2 દિવસમાં પકડી લેવામાં આવ્યા છે. પોલીસ રાત દિવસ એક કરીને કામગીરી આગળ વધારશે. દોઢ મહિનામાં મોસ્ટ વોન્ટેડ બુટલેગરોને પકડ્યા છે. ટોપ 10 વોન્ટેડ માંથી એક બુટલેગર પિન્ટુની પણ આજે ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસે બંધ કરાવી દેવાઈ હતી. પોલીસે દારૂની ભઠ્ઠી બંધ કરાવી એટલે કેમિકલ લાવવા બુટલેગરો પ્રેરાયા હતા.આવા કેમિકલને કેવી રીતે રોકી શકાય તે માટે ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરી છે. આગામી દિવસોમાં આ કેમિકલ પર કંટ્રોલ લાવવા ગૃહ વિભાગ પગલા ભરશે. આ એક સામાજિક દુષણમાં નાગરિક ભોગ ન બને એ માટે પોલીસ કામ કરશે, અમે કોઈપણ વિષય પરથી હાથ ઉંચા કરવા નથી માંગતા.