ગુજરાત વિધાનસભામાં માર્ચ મહિનાથી બજેટની શરૂઆત થશે. અન્ય રાજ્યો માફક લવ જિહાદ સુધારા સહિતના વિધેયકો પણ રજૂ થઈ શકે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો સાથે બજેટ સત્રની પણ તારીખ જાહેર થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચ મહિનાથી શરૂ થઈ જશે. પહેલી માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. છેલ્લા કેટલાક વર્ષ માફક DyCM નીતિન પટેલ જ વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. બજેટ સત્ર ઓછામાં ઓછા 24 દિવસ સુધી ચાલશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરે છે. આ સાથે ગુજરાતના 2 પૂર્વ CM માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને પણ બજેટ સત્રની શરૂઆતમાં શ્રદ્ધાંજલિ અપાશે. તો આ સાથે પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ પણ પસાર કરાશે.
બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા અભિભાષણ આપવામાં આવતું હોય છે. અને રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા ચાલતી હોય છે. તો સાથે 2 માર્ચ અથવા 3 ના દિવસે અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તો આ સાથે અંદાજ પત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવવામાં આવશે. તો 24 દિવસમાંથી અંદાજ પત્રની માંગણીઓ પરની ચર્ચા માટે 12 દિવસનો સમય પસાર થશે.
તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ત્રીજા દિવસે અંદાજપત્ર રજૂ થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં પણ અન્ય રાજ્ય માફક લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. અને બજેટ સત્રમાં કેગના ઓડિટ એહેવાલ પણ રજૂ થશે