ખેડૂત કાયદાઓના મુદ્દે NDA સાથે જોડાણ તોડનાર અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલે કહ્યું છે કે, " વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા સારા નિર્ણયો લીધા છે પણ 2019 ના જંગી વિજય પછી ભાજપના વર્તનમાં પરિવર્તન આવ્યું છે.
ભાજપના સૌથી જૂના સાથી પક્ષ અકાલીદળે કર્યો દાવો
"2019 પછી ભાજપના વર્તનમાં આવ્યું છે પરિવર્તન":સુખબીર બાદલ
જો વર્તન નહીં બદલો તો કોંગ્રેસ જેવી હાલત થશે: અકાલી દળ
ભારતીય જનતા પાર્ટી ને પણ નવા ખેડૂત કાયદાઓ બદલ તેના જૂના સાથીઓની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ બિલના મુદ્દે NDA સાથે જોડાણ તોડનાર અકાલી દળ ના અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલે કહ્યું છે કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા સારા નિર્ણયો લીધા છે, પરંતુ 2019 ના જંગી વિજય પછી ભાજપનું વર્તન બદલાયું છે.
અમને વિશ્વાસમાં નહોતા લેવાયા: બાદલ
તેમણે કહ્યું હતું કે ભારત-ચીન વિવાદથી લઈને CAA અને ખેડૂત કાયદાઓ જેવા વિવાદિત કાયદા સુધીની બાબતોમાં સાથીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જો કે, તેમણે તેને ભાજપ નો ઘમંડ કહેવાની ના પાડી હતી.
જો વર્તન બદલાશે નહીં તો કોંગ્રેસની હાલત થશે
એક ખાનગી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં સુખબીર બાદલે ચેતવણી આપી છે કે જો ભાજપ પોતાનું વર્તન બદલશે નહીં તો તેની સ્થિતિ કોંગ્રેસ જેવી બની શકે છે. તેમણે કહ્યું, 'દેશની સફળતા એમાં છે જેમાં જુદા જુદા પ્રદેશોના જુદા જુદા અવાજો સાંભળવામાં આવે છે. અને પ્રાદેશિક દળો માટે સમગ્ર સિસ્ટમનો એક ભાગ રહેવું ખૂબ જ જરૂરી છે. જે સમયથી તમે બધી જગ્યાઓ પર આધિપત્ય ભોગવવાનું ઈચ્છો છો ત્યારથી સ્થિતિ તમારા હાથમાંથી નીકળતી જાય છે. અમે ભાજપ સાથેનું જોડાણ બચાવવા અંતિમ ક્ષણ સુધી પ્રયાસ કર્યો હતો.
જ્યારે ભાજપના બે સાંસદ ત્યાં હતા ત્યારે અમારો ટેકો હતો
બાદલે કહ્યું છે કે અમારા પક્ષે ભાજપ ને ટેકો આપ્યો હતો જ્યારે તેના માત્ર બે સાંસદ લોકસભામાં હતા. મારા પિતાના દરેક ભાજપ નેતા સાથે ખૂબ સારા સંબંધ છે. અને હવે તેમની પાસે વ્યક્તિગત જોડાણો છે. પણ હા, હવે પરિવર્તન આવ્યું છે. જો આપણી વિશે વાત કરવામાં આવે તો, કૃષિના મહત્વપૂર્ણ બિલ વિશે ક્યારેય વાત કરવામાં આવી નહોતી.
ભાજપે તેનો સૌથી જૂનો સાથી ગુમાવ્યો
નોંધપાત્ર વાત એ છે કે, ભાજપ ના સૌથી જુના સાથી અકાલી દળ એ કૃષિ બિલનો સખત વિરોધ નોંધાવ્યો છે. પહેલા કેન્દ્ર સરકારમાં પ્રધાન હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ પાર્ટીએ ભાજપ સાથે કેટલાક દાયકા જુનાં સંબંધો તોડી નાખ્યા. જો કે, આ બધાની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વતી ખેડૂત કાયદાઓ ને ખેડૂતો માટે ક્રાંતિકારી પગલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.