ગુજરાત ભાજપે ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી, સતત કેન્દ્રિય નેતાઓના ગુજરાત પ્રવાસ ગોઠવ્યા, કાલે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે
વિધાનસભા ચૂંટણીને લઇ કવાયત
જે.પી.નડ્ડા આવશે ગુજરાત
રાજકોટમાં જનપ્રતિનિધિ મંડળને કરશે સંબોધન
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નેતાઓ માટે સૌરાષ્ટ્ર કેન્દ્ર બિંદુ છે. ભાજપ, કોંગ્રેસ અને AAPનું સૌરાષ્ટ્ર પર વધારેમાં વધારે ફોક્સ છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે જે દરેક પાર્ટી માટે સત્તામાં આવવા નિર્ણાયક ગણાય છે. જેને લઈને રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસને મહત્વ આપી રહ્યા છે. આવતીકાલે મંગળવારે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા રાજકોટ આવશે.
મોરબીમાં જે.પી.નડ્ડાનો ભવ્ય રોડ-શો યોજાશે
ત્યારે જે.પી.નડ્ડાના કાર્યક્રમોને લઈ ગુજરાત ભાજપ દ્વારા ખાસ તૈયારીઑ કરવામાં આવી છે. જે.પી.નડ્ડાના પ્રવાસને લઇ પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટમાં ભાજપના જનપ્રતિનિધિઓનું સંમેલન યોજાશે જેને તેઓ સંબોધન પણ કરશે. સાંજે 4.30 વાગે મોરબીમાં જે.પી.નડ્ડાનો ભવ્ય રોડ-શો યોજાશે. આ ઉપરાંત જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં 21 સપ્ટેમ્બરે કમલમમાં બેઠક મળશે. 21 સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રોફેસર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોફેસર સમિટમાં પણ જે.પી.નડ્ડા કરશે સંબોધન કરશે.
મેયર સંમેલનની પણ તૈયારી
ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઋતુરાજ સિન્હાએ પણ માહિતી આપતા કહ્યું કે ગાંધીનગરમાં મેયર સંમેલન મળશે. દેશભરમાંથી મેયર, ડેપ્યુટી મેયર ભાગ લેશે. આ કાર્યક્રમથી અન્ય શહેરોના મેયર પણ ગુજરાતનો વિકાસ જોઈ શકશે
5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવશે પીએમ મોદી
તો બીજી તરફ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે પીએમ મોદી પાંચ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આમ કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. જ્યારે 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ તો 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે PM મોદી આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.