સાંસદના પગાર, ભથ્થું અને પેન્શન (સુધારા) બિલ, 2020 ને લોકસભાના મોટાભાગના સાંસદોએ ટેકો આપ્યો હતો. એક વર્ષ માટે તમામ સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત સાંસદ ભંડોળ પણ 2 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
સાંસદોના પગાર કપાતને લગતો ખરડો લોકસભામાંથી પસાર થયો
સાંસદોના પગારમાં મૂકવામાં આવશે 30 ટકાનો કાપ
કોવિડ સંકટના લીધે મોદી સરકારે લીધો હતો આ નિર્ણય
મંગળવારે લોકસભા દ્વારા સાંસદોના પગાર કાપ સંબંધિત બિલ પસાર કરાયું હતું. સાંસદ પગાર, ભથ્થું અને પેન્શન (સુધારો) બિલ, 2020 ને મોટાભાગના સભ્યોનું સમર્થન મળ્યું હતું. આ બિલથી એક વર્ષ માટે તમામ સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો થશે. આ ઉપરાંત સાંસદ ભંડોળ પણ 2 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. કોરોના સંકટમાં નાણાંની કટોકટીને પહોંચી વળવા માટે આ બિલ લવાયું હતું.
લોકસભામાં આ બિલને મળ્યો ટેકો પરંતુ સાંસદ ભંડોળ સ્થગનની માંગણીનો વિરોધ
લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન, મોટાભાગના સાંસદોએ સરકારના આ નિર્ણયને ટેકો આપ્યો હતો, પરંતુ તે જ સમયે તેમણે માંગણી કરી હતી કે સરકારે સાંસદ ભંડોળ સ્થગિત ન કરવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસ TMC ના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સરકારે અમારો સંપૂર્ણ પગાર લેવો જોઈએ, કોઈ સાંસદ તેનો વિરોધ નહીં કરે. પરંતુ સાંસદ ભંડોળ સંપૂર્ણ રીતે મળવું જોઈએ. જેથી અમે લોકોના હિત માટે કામ કરી શકીએ.
તે જ સમયે, AAP ના સાંસદ ભગવંત માનએ કહ્યું કે સરકારે આપણા પગારમાં 60 ટકાનો ઘટાડો કરવો જોઇએ, અમને કોઈ સમસ્યા નથી, પરંતુ સાંસદ ભંડોળ રોકવાનું કોઈ કારણ નથી. અમારા ક્ષેત્રના લોકોએ જે પૈસા ટેક્સમાં આપ્યા છે, તેઓને તે પૈસા પાછા મળવા જોઈએ.
પગાર કપાતથી કેટલા પૈસા બચશે
સંસદના બંને ગૃહોમાં 790 સાંસદો (લોકસભાના 545 અને રાજ્યસભાના 245) ની પ્રણાલી છે. હાલમાં લોકસભામાં 542 અને રાજ્યસભામાં 238 સભ્યો છે. આ રીતે સંસદમાં 780 સાંસદો છે અને હવે દરેક સાંસદના પગારમાં 30 હજાર રૂપિયા બાદ કરવામાં આવશે અને આ રીતે, દર મહિને 2 કરોડ 34 લાખની બચત કરવામાં આવશે. આ ઉપરાંત દરેક સાંસદને તેમના સાંસદ ભંડોળ અંતર્ગત દર વર્ષે 5 કરોડ મળે છે જે હવે 2 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યા છે.