વડોદરા અનાજ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો; તરસાલીની જય હરસિદ્ધિ સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થઇ, 85 કાર્ડધારકોના સરનામા નથી
વડોદરા અનાજ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો
જય હરસિદ્ધિ સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ
85 કાર્ડધારકોના નથી સરનામા
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ કૌભાંડને લઇને ફરીવાર મોટો ખુલાસો થયો છે. તરસાલીની જય હરસિદ્ધિ સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થઇ રહી છે. રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદી VTVને હાથ લાગી છે જે બાબતે મહત્વના ખુલાસો થયો છે.
અનાજ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો
રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદીમાં દુકાનદાર રાજુ ખટીકે 1થી 5 વર્ષના 22 બાળકોને અનાજ આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. 85 જેટલા કાર્ડધારકોના સરનામા જ નથી. મૃત વ્યક્તિઓના નામે પણ બારોબાર અનાજ સગેવગે કરાયાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ આધારકાર્ડ નંબરના આધારે બારોબાર અનાજ સગેવગે કરાયાનો પણ ખુલાસો થયો છે. પુરવઠા વિભાગના અધિકારી એક મહિના બાદ પણ તપાસ પૂરી શકયા નથી. 3 દિવસમાં જ તપાસ પૂર્ણ કરવાનો આદેશ હતો. પુરવઠા વિભાગનું તપાસના નામે તરકટ સામે આવ્યું છે.
ગ્રાહકોને કુપન વગર જ અનાજ આપવામાં આવ્યોનો આક્ષેપ
વડોદરામાં પુરવઠા વિભાગના ઇન્સપેક્ટરની હાજરીમાં જ અનાજ વિતરણમાં ગેરરીતિ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગ્રાહકોને કુપન વગર જ અનાજ આપવામાં આવી રહ્યું છે. કેટલાક ગ્રાહકોના નામ લીધા વગર જ બારોબાર અનાજ અપાઇ રહ્યું છે. તેમજ કેટલાક ગ્રાહકોના રાશનકાર્ડ પણ દુકાનદારે જમા લીધા છે જે બાબતે ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે, ક્યારેય દુકાનદાર કુપન આપતો નથી. પુરવઠા વિભાગના અધિકારી મુકદર્શક બની બધુ જોતા રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્ય સરકારે સોંપેલી તપાસના ભાગરૂપે ખાલી અનાજ પર નજર રાખી રહ્યાં છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તપાસ અધિકારીઓ સરકારના આદેશને ઘોળીને પી ગયા?
તમને જણાવી દઈએ કે, સસ્તા અનાજની દુકાન દ્વારા આચરાતા કૌભાંડ મામલે વડોદરા પુરવઠા વિભાગના અધિકારીને તપાસ કરવા આદેશ અપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી કોમલ પટેલે ચેતન ખમારને તપાસ સોંપી હતી. સરકારના તપાસના આદેશને વડોદરા પુરવઠા વિભાગના અધિકારી ઘોળીને પી ગયા હોય તેવું આ કૌભાંડ મામલે જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થવા પર તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરાની સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ થયું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું. થમ્બ ડિવાઈસ અને લેપટોપનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હતો. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતો અને 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.
સળગતા સવાલ
તપાસ અધિકારીઓએ કાર્ડધારકોના ઘરે તપાસ કેમ ન કરી?
શું તપાસ અધિકારીઓને તપાસ કરવામાં રસ નથી?
શું તપાસ અધિકારીઓએ પણ રાશન કૌભાંડમાં સાથ આપ્યો છે?
તપાસ અધિકારીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?