બેટ્સમેન શ્રેયસ અય્યર ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થવાને કારણે વન ડે સીરિઝમાંથી બહાર થઈ શકે છે. તો IPLની શરૂઆતની મેચમાંથી બહાર જવું પડી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે સીરિઝ બાકી.
ટેસ્ટ મેચમાં બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા.
શ્રેયસની ઈજા અંગે નિષ્ણાંતની સલાહ લેવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝ પહેલા ભારતીય ટીમને સૌથી મોટો ઝટકો પડ્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓ વન ડે સીરિઝમાંથી બહાર થઈ શકે છે.
શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં બેટીંગ કરી નહોતી. અમદાવાદ ટેસ્ટ મેચમાં સતત બે દિવસ સુધી ફીલ્ડિંગ કર્યા બાદ શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં સોજો આવી ગયો હતો. આ દરમિયાન તેમણે એક ઓવરની બોલિંગ પણ કરી હતી.
‘શ્રેયસની તબિયત સારી નથી’
શ્રેયસ અય્યરે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ESPN ક્રિકઈંફો અનુસાર શ્રેયસ અય્યર આ સીરિઝમાંથી બહાર થઈ શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટેસ્ટ મેચ બાદ શ્રેયસ અય્યરની ઈજા અંગે જણાવ્યું હતું કે, ‘મને નથી લાગતું કે, શ્રેયસની તબિયત સારી હોય, જે સારી વાત નથી.’
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘શ્રેયસની ઈજા અંગે નિષ્ણાંતની સલાહ લેવામાં આવશે.’ જો શ્રેયસ વન ડે સીરિઝમાંથી બહાર થશે તો તેમની જગ્યાએ રજત પાટીદાર અથવા રાહુલ ત્રિપાઠીને ટીમમાં શામેલ કરવામાં આવશે.
IPL: કોલકત્તા ટીમની ચિંતા વધી
31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત તશે. IPL શ્રેયસ અય્યર કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના કેપ્ટન છે. શ્રેયસ અય્યરને ઈજા થવી તે કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ચિંતાની વાત છે. શ્રેયસને ગંભીર ઈજા પહોંચી હશે, તો તેમણે IPLની શરૂઆતની મેચમાંથી બહાર જવું પડી શકે છે.
મિડિલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને ઈજા થવી તે ખૂબ જ ચિંતાજનક છે. તેમને વારંવાર આ પ્રકારની ઈજા થઈ રહી છે. અગાઉ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન પણ શ્રેયસને આ પ્રકારની જ સમસ્યા થઈ હતી. તે સમયે પણ ઈજા થવાને કારણે તેમણે ન્યુઝીલેન્ડ સામેની વન ડે સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતું.