ધીરે ધીરે 2000 રૂપિયાની નોટો ચલણમાં ઘટી રહી છે, તેનું એક મોટું કારણ એ છે કે છેલ્લા કેટલાક મહિનાથી 2000 રૂપિયાની નોટ ATM માંથી બહાર આવવાની ઓછી થઈ ગઈ છે. તાજેતરમાં એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે સરકારે 2000 રૂપિયાની ચલણી નોટો છાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના પર હવે સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે.
મોદી સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
2000 રૂપિયાની નવી નોટોને લઈને આપ્યું નિવેદન
નાણાં રાજ્યમંત્રીએ કહ્યું,'નોટો છાપવા મુદ્દે નથી મોકલાયો માંગણીપત્ર'
નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં કહ્યું કે 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવા ના મુદ્દે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. લોકસભામાં લેખિત જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સલાહ લીધા પછી સરકાર કોઈ ચોક્કસ રકમ વાળી નોટોના છાપકામ મુદ્દે નિર્ણય લેતી હોય છે.
સરકારે કહ્યું, "નથી મોકલાયો કોઈ માંગણી પત્ર"
નાણા રાજ્ય પ્રધાને કહ્યું કે નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 ની નોટો છાપવા માટે કોઈ માંગણી પત્ર મોકલાયો નથી. પરંતુ તેમ હોવા છતાં સરકારે નોટોને છાપવાનું બંધ કરવાના મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. તેમણે સંસદમાં કહ્યું કે 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 લાખની નોટો ચલણમાં હતી. જ્યારે માર્ચ 2019 સુધીમાં 32,910 લાખ જેટલી નોટો સર્ક્યુલેશન માં હતી. 2018 ના અંતમાં, કુલ સર્ક્યુલેશન માં હાજર 2,000 ની નોટોની સંખ્યા 33,632 લાખ હતી.
RBI ના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યા આ તથ્યો
RBI ના 2019-20ના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2018 ના અંતમાં સર્ક્યુલેશન માં 2000 ની નોટોની સંખ્યા 33,632 લાખ હતી, જે માર્ચ 2019 ના અંત સુધીમાં ઘટીને 32,910 લાખ થઈ ગઈ છે. માર્ચ 2020 ના અંત સુધીમાં, સર્ક્યુલેશન માં હાજર 2,000 ની નોટોની સંખ્યા વધુ ઘટીને 27,398 લાખ થઈ ગઈ.આમ 2000 રૂપિયાની નોટોની સંખ્યા છેલ્લા કેટલાક સમયથી સતત ઘટતી જઈ રહી છે.
સર્ક્યુલેશન માં 2000 ની નોટોનો શેર ઘટ્યો છે
અહેવાલમાં જણાવ્યા અનુસાર, માર્ચ 2020 ના અંત સુધીમાં ચલણમાં કુલ કરન્સી માં 2,000 ની નોટોનો શેર ઘટીને 2.4 ટકા થયો છે. તે માર્ચ, 2019 ના અંત સુધીમાં 3 ટકા અને માર્ચ, 2018 ના અંત સુધીમાં 3.3 ટકા હતો. રિપોર્ટ અનુસાર, વર્ષ 2018 થી ત્રણ વર્ષ દરમિયાન 500 અને 200 રૂપિયાની નોટોના સર્ક્યુલેશન માં જો કે નોંધપાત્ર વધારો થયો છે. 500 અને 200 રૂપિયાની નોટોના સર્ક્યુલેશન માં કિંમત અને માત્રા બંને અનુસાર વધારો થયો છે.
કેન્દ્રીય પ્રધાને RBI ને ટાંકીને કહ્યું હતું કે કોરોના સંકટ ને કારણે લોકડાઉન દરમિયાન નોટોનું છાપકામ બંધ કરાયું હતું. પરંતુ પાછળથી કેન્દ્ર / રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, છાપકામ હવે શરુ થઈ રહ્યું છે. કર્મચારીઓમાં કોરોના ચેપને કારણે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી સરકારી પ્રિન્ટ ઓફિસમાં ત્રણ વખત નોટો છાપવાનું બંધ કરવું પડ્યું હતું.