પ્રધાનમંત્રી જનધન ખાતાને લઈને હમણાં એક સારા સમાચાર આવ્યા છે, નાણાં મંત્રાલયે જનધન એકાઉન્ટના શરૂઆતથી અત્યાર સુધીના આંકડાઓ જાહેર કર્યા છે, જેમાં ઘણી મહત્વની માહિતીઓ પણ બહાર આવી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે આ યોજનાનો અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે.
પીએમ મોદીએ શરૂ કરી હતી આ યોજના
15મી ઓગસ્ટ 2014ના રોજ કરી હતી ઘોષણા
અત્યાર સુધીમાં 41.6 કરોડ જેટલા ખૂલ્યા એકાઉન્ટ
આર્થિક એકીકરણને ઉત્તેજન આપવા માટે આ યોજના હેઠળ 6 જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાઓની કુલ સંખ્યા 41.6 કરોડ જેટલી થઇ ગઈ છે. નાણાં મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે સરકાર દરેક નાગરિકોના ફાઇનાન્શિયલ ઈન્ક્લુઝન માટે પ્રતિબદ્ધ છે. 6 જાન્યુઆરી 2021 સુધી 41 કરોડથી વધુ જનધન ખાતાઓ નોંધાઈ ચૂક્યા છે.
ઝીરો બેલેન્સ વાળા ખાતાઓમાં થયો ઘટાડો
નાણાં મંત્રાલએ કહ્યું હતું કે ઝીરો બેલેન્સ વાળા ખાતાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે જે માર્ચ 2015ના 58 ટકાથી ઘટીને 7.5 ટકા જેટલા થઇ ગયા છે. તેથી એવું લાગી રહ્યું છે કે જનધન ખાતાધારકો હવે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
વર્ષ 2014માં થઇ હતી શરૂઆત
મહત્વનું છે કે આ યોજનાની શરૂઆત મોદી સરકારે તેમના પહેલા કાર્યકાળમાં જ કરી હતી અને 2014માં સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી તેની શરૂઆતની ઘોષણા કરી હતી. 28 ઓગસ્ટથી આ યોજનાનો અમલ શરુ કરવામાં આવ્યો હતો, સરકારે 2018માં વધુ સુવિધાઓની સાથે તેના બીજા સંસ્કરણની શરૂઆત કરી હતી.
નોંધનીય છે કે જનધન ખાતું ખોલાવવું ઘણું સરળ છે અને જો કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ બેન્ક એકાઉન્ટ નથી તો તે પણ જનધન એકાઉન્ટ ખોલાવડાવી શકે છે. આના માટે નજીકની બેન્ક શાખામાં જઈને માત્ર એક ફોર્મ ભરવાનું હોય છે અને તેમાં નામ, મોબાઈલ નમ્બર, એડ્રેસ, નોમિની, વ્યવસાય/ રોજગાર અને વાર્ષિક ઇન્કમ વગેરેની માહિતી આપવી પડશે.