ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે ટિકિટ મુદ્દે ઘમાસાણ યથાવત છે. એવામાં હવે તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને NCPના રેશમા પટેલ પણ ગોંડલથી ચૂંટણી લડવા માગે છે. જો આ સીટ પર આપ અલ્પેશ કથીરિયાને ટિકિટ આપે તો અહીં બે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે સંભવિત ચૂંટણી જંગ જામી શકે છે.
ગોંડલ સીટ પર ખરાખરીનો રાજકીય જંગ જામવાના એંધાણ
ગોંડલ ભાજપમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ યથાવત
અલ્પેશ કથીરિયા પણ અહીંથી લડવા માંગે છે ચૂંટણી
ગોંડલથી મારું લડવાનું ફાઈનલ છેઃ રેશમા પટેલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેને પગલે ગોંડલનું રાજકારણ ધગધગવા લાગ્યું છે. સૌરાષ્ટ્રની હાઇપ્રોફાઇલ સીટ ગણાતી ગોંડલ સીટ પર ખરાખરીનો રાજકીય જંગ જામવાના એંધાણ છે. ગોંડલમાં આ બે બાહુબલી નેતાઓ આમને-સામને આવી જતાં સ્થાનિકથી લઈ પ્રદેશ સુધી ભાજપના મોવડીઓ ચિંતામાં છે. ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે ટિકિટને લઈને જંગ છેડાયો છે. બંને પોત-પોતાના દીકરા માટે ભાજપમાંથી ટિકિટની માંગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી ભાજપ દ્વારા ગોંડલ વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ ફાઈનલ કરવામાં આવ્યું નથી.
અલ્પેશ કથીરિયા પણ ગોંડલથી લડવા માંગે છે ચૂંટણી
એવામાં હવે તાજેતરમાં AAP જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા પણ ગોંડલથી ચૂંટણી લડવા માગે છે. આપને જણાવી દઈએ કે, આ સીટ પર આમ આદમી પાર્ટી નિમિષાબેન ખૂંટને ચૂંટણીના મેદાનમાં ઉતારી ચૂકી છે. જો આ સીટ પર આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને ચૂંટણી જંગમાં ઉતારે તો આ સીટ ગુજરાતની હાઇપ્રોફાઇલ સીટ બની જશે.
પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છેઃ અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ ગોંડલથી ચૂંટણી લડવાની ઈચ્છા અંગે જણાવ્યું કે, પાર્ટી દ્વારા આ સીટ પર ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. હાલ આ મામલે પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. પાર્ટી જે નિર્ણય કરશે તે પ્રમાણે આગળ વધીશું. જે સીટો નક્કી થાય તે મુજબ નક્કી કરીશું. તેમણે કહ્યું કે, જો પાર્ટી મને ટિકિટ આપશે તો મને ખોડલધામ અને યુદ્ધ એજ કલ્યાણ જેવા મજબૂત સંગઠનનો પણ મને સાથ આપશે.
ગોંડલથી મારું લડવાનું ફાઈનલ છેઃ રેશમા પટેલ
NCPમાંથી ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવા મુદ્દે રેશમા પટેલે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએથી ટિકિટ માંગી શકે છે. ગોંડલથી મારું લડવાનું ફાઇનલ છે. સાથી સામે હોય તો પણ સીટ બદલીશ નહીં.
ગોંડલમાં આ બે બાહુબલી નેતાઓ આમને-સામને
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ તેમના દીકરા ગણેશને ચૂંટણી લડાવવા માટે મથામણ કરી રહ્યા છે. તો રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાને ટિકિટ અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. બંનેની લડાઈમાં કોઈ ત્રીજો ફાવે એવો ખેલ અહીં જોવા મળી રહ્યો છે.
29 સપ્ટેમ્બરે રીબડામાં યોજાઈ હતી પત્રકાર પરિષદ
આપને જણાવી દઈએ કે, પોરબંદરના સાંસદ રમેશ ધડુકના સ્ફોટક નિવેદન બાદ રીબડા ખાતે 29 સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગોંડલના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે, 'ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઇપણ સભ્યને ટિકીટ મળવી ન જોઇએ. અમે પણ 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ. પાર્ટી જયરાજસિંહ પરિવાર સિવાય કોઇપણને ટિકિટ આપે તેમને જીતાડવાની જવાબદારી અમારી છે. જો હું જીતાડી ન શકું તો ગોંડલના માંડવી ચોકમાં જાહેરમાં આપઘાત કરી લઇશ.'
છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોંડલ સીટનો રાજકીય ઇતિહાસ લોહીયાળ રહ્યો છે. છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,28,438 મતદારો છે. જેમાં 1,18,218 પુરુષ અને 1,10,212 મહિલા મતદારો છે. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો.