gandhinagar news : ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ.350 કરોડ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી
કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી
સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ પાંચ હેક્ટરથી ઘટાડીને બે હેક્ટર કરાઈ
ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે રૂ.350 કરોડ જેટલી રકમની જોગવાઈ
ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કાંટાની વાડ માટે ખેડૂતોને અપાતી સહાય વધુ સરળ બની છે. ખેડૂતો માટે સહાયની પાત્રતા 5 હેક્ટરથી 2 હેક્ટર કરાઇ છે. અત્રે જણાવી દઈએ કે, સુરત જિલ્લામાં ભૂંડનાં ત્રાસથી શેરડીના પાકને નુકસાન અંગે રજૂઆત થઇ હતી. ત્યારબાદ સહાય પાત્રતા હેક્ટર જમીનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી 55 લાખ ખેડૂતોને સહાયનો લાભ મળશે.
સરકારનો હકારાત્મક નિર્ણય
કૃષિ મંત્રીએ રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.
આ યોજના માટે રૂ.350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ.350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે. ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મુકેલી છે