મ્યાનમારમાં સેનાએ સત્તાની સુકાન સંભાળ્યાને 2 મહિના જેટલો સમય થઈ ચુક્યો છે.સેના નિર્દોષ લોકોને જાહેરમાં મોતને ઘાટ ઉતારી રહી છે.
મ્યાનમારમાં સેનાએ પોતાના લોકો પર જ એરસ્ટ્રાઈક કરી
જનતા વગર હથિયારે સેનાની સામે મેદાને છે, પણ કોઈ દેશ મદદ કરી રહ્યું નથી
થાઈલેન્ડ અને ભારતની તરફ મ્યાંમારના લોકો ભાગી રહ્યા છે
ભારતની પાડોશમાં મ્યાનમારમાં સેનાએ બળવો કરીને સત્તા કબજે કરી લીધા પછી મોટા નેતાઓ કેદમાં છે. અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ફ્રાંસ, ભારત આ એવા દેશોના નામ છે, જેમની પાસે મજબુત સૈન્ય બળ છે, આધુનિક ટેકનોલોજી છે, વર્ચસ્વ ધરાવતા નેતા છે છતાં પણ મ્યાનમાર પર આવા દેશના શાસકોનું મૌન, ગંભીર સવાલ ઉભા કરે છે.
જનતા ત્યાંનાં સૈન્ય શાસકની સામે જંગે ચઢી છે
કહેવાય છે સત્તા સામે શાણપણ નકામુ પરંતુ સત્તા પર બેઠેલો વ્યક્તિ જ્યારે નૈતિક મૂલ્યોને જ ભૂલી જાય તો? એક શાસકને જનતા કરતા માત્ર પોતાની ખુરશી જ વ્હાલી લાગવા લાગે તો શું થાય? શું થાય એ જનતાનું જે લોકશાહીની લાજ બચાવવા માટે લોહીયાળ જંગ લડે અને એ પણ વગર હથિયારે, અને સાથ આપવા માટે કોઈ જ ન મળે.
પાડોશી દેશ મ્યાનમારમાં કંઈક હાલત આજે એવી જ છે જ્યાં સાડા પાંચ કરોડ લોકો તેમની જ સેનાના વડા સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. બંદૂક, ગોલાબારુદ, આધુનિક હથિયારો અને લાખો સૈનિકોના સહારે મ્યાનમારની સેનાના કમાન્ડર ઈન ચીફ જનરલ મિને છેલ્લા બે મહિનાથી આખા દેશને જાણેકે બંધક બનાવી લીધું છે. બે દિવસ પહેલા સવાસો આંદોલનકારીઓને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધા અને ક્રુરતાની હદ તો જુઓ, હવે મ્યાનમારની સેનાએ જ ત્યાંના નાગરિકો પર એર સ્ટ્રાઈક કરી નાખી. માથે મંડરાતી મોતથી પીછો છોડાવવા 3 હજાર કરતા પણ વધુ લોકો ઘર બાર છોડીને થાઈલેન્ડ તરફ ભાગવા મજબૂર બન્યા છે.
લોકો પલાયન કરીને ભારત અને થાઈલેન્ડની તરફ જઈ રહ્યા છે
માથે છત નથી, બે ટંક ભોજનના ઠેકાણા નથી, પીવા માટે પાણીના પણ ફાંફા છે અને ઉપરથી કોરોનાનો ડર. આવી સ્થિતિ વચ્ચે મ્યાનમારના બાળકો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો ઘણાય દિવસોથી જંગલમાં આશરો લઈ રહ્યા છે. મ્યાનમારની 1600 કિલોમીટર કરતા પણ વધુની સરહદ ભારત સાથે જોડાયેલી છે. એટલે કે પૂર્વોત્તરના ચાર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની પૂર્વ તરફ છે મ્યાનમાર. જેથી ઘણા લોકો પલાયન કરીને આ ચાર રાજ્યો તરફ પણ આગળ વધ્યા હોવાના અહેવાલ છે.
હિંસા અને આક્રોશના આ એવા દ્રશ્યો છે, જેને જોઈને કોઈનું પણ હ્રદય પીગળી જાય, પરંતુ મહાસત્તાના શાસકોના મિજાજ હજુ પણ નરમ છે. આર્મેનિયા અને અઝર બૈજાનની લડાઈ હોય, ઈરાક-ઈરાન-સિરીયા જેવા દેશોમાં ગૃહ યુદ્ધની સ્થિતિ હોય કે પછી ISIS જેવા ક્રુર આતંકી સંગઠનનો કહેર, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ જેવા દેશોએ હંમેશા આ ઘટનાઓને આંતરિક મામલો ન સમજીને માનવીય ધોરણોનો હવાલો આપી હસ્તક્ષેપ કર્યો જ છે. પરંતુ નિર્દોષ સવાસો લોકોના મોત પર જ્યારે જો બાઈડેનને સવાલ કરવામાં આવ્યો, તો જવાબમાં માત્ર પાંચ શબ્દો જ નિકળ્યા. જેમાં કુટનીતિનો કોઈજ અણસાર ન હતો.
અમેરિકાએ પ્રતિબંધોની ચેતવણી આપી જ છે, પરંતુ કઈં પણ કર્યું નથી
આ પહેલા અમેરિકાએ મ્યાનમાર પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી તો આપી હતી, પરંતુ કોઈ નક્કર પગલા નથી લેવાયા. નવાઈની વાત તો એ પણ છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મ્યાનમારની ઘટના વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, તો ચીન અને રશિયાએ પ્રસ્તાવનો જ વિરોધ કરીને એ સ્પષ્ટ કરી દીધું કે તેઓ તખ્તાપલટના સમર્થનમાં છે, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના પક્ષમાં નથી.
80થી 90 વર્ષ પહેલા બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, મ્યાનમાર પર અંગ્રેજોનું સંયુક્ત શાસન હતું. એટલે જ્યારે 1971માં બાંગ્લાદેશની આઝાદીની માગ ઉઠી, તો ભારતના તત્કાલીક પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ તેને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો ન ગણીને લોકહિતને પ્રાધાન્ય આપ્યું હતું.
સત્તાધીશોનું મૌન ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે
પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનના બે કટકા થઈ ગયા, પૂર્વી પાકિસ્તાન ભૂતકાળ બન્યું અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. 80ના દાયકામાં શ્રીલંકામાં LTTEના આતંક સામે પણ ભારતે આવી જ નીતિ દાખવી અને હસ્તક્ષેપ કર્યો હતો, સમાધાન માટે વાતચીતનો પ્રસ્તાવ પણ મુક્યો અને શ્રીલંકાને સૈન્ય સહાય પણ મોકલી હતી. પરંતુ હાલમાં સ્થિતિ એવી નથી. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ મ્યાનમારમાં થયેલા તખ્તાપલટને ભલે આંતરિક મામલો ગણવામાં આવે પરંતુ નિર્દોષ લોકોની ક્રુરતા પૂર્વક થયેલી હત્યા પર સત્તાધિશોનું મૌન ઘણા સવાલો ઉભા કરે છે.