31 જાન્યુઆરી સુધી અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં અપાય, લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
યાત્રાધામ અંબાજી મંદિર 9 દિવસ માટે બંધ
31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવા નિર્ણય
કારોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
કોરોનાના કેસ વધતા યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે કારોના સંક્રમણને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિ મુજબ આગામી 9 દિવસ સુધી અંબાજી મંદિર દર્શન માટે બંધ રહેશે.
મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તે માટે નિર્ણય
ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેનો સમય ગાળો પૂર્ણ થતાં હવે વધુ 9 દિવસ અંબાજી મંદિર બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમાંય ખાસ કરીને રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. માઈ ભક્તો માટે અંબાજી આસ્થાનું મોટું કેન્દ્ર હોવાથી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની વકી રહેતી હોય છે ત્યારે કોરોનાને નાથવા સરકારના પ્રયાસને સાથ આપવા અને લોકોને પણ કોરોના સંક્રમણથી બચાવવા યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સવાર-સાંજની આરતી લાઈવ ટેલિકાસ્ટ થશે
આ દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજની આરતી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેથી માઈભક્તો ઘરે બેઠા માં અંબાના દર્શનનો લાભ લઈ શકશે. પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ પૂજા-આરતી કરશે.તથા અંબાજી મંદિરની વેબસાઇટ પરથી ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.