જામનગરના ગોસાબારા RDX લેન્ડિંગ પ્રકરણમાં આરોપી મમુમિયા અને તેના ભાઈએ જામનગરની ટાડા કોર્ટમાં ડિસ્ચાર્જ માટેની અરજી કરી છે. આ ઉપરાંત યેરવડા જેલમાં બંધ સલીમને આગામી તારીખે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં 257 નાગરિકોના મોત થયા હતા.
બાબરીધ્વંસનો બદલો લેવા માટે આ સિરિય બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ડોન દાઉદ ઈબ્રાહીમ અનિષ ઈબ્રાહીમ ટાઈગર મેમણ છોટા સકીલ સહિતના આરોપીઓ હજુ પણ આ મામલે પોલીસ પકડથી દૂર છે. અગાઉ 1993માં અમદાવાદમાં હથિયાર જપ્તીના મામલામાં ગુજરાત હાઈકોર્ટે ઈસ્માઈલ બુખારી ઉર્ફે મમુમિયાં પંજુમિયાને જામીન આપ્યા હતા.
જ્યાર બાદ તેનો 13 વર્ષે જેલમાંથી છુટકારો થયો હતો. ગુજરાત હાઈકોર્ટે ઇસ્માઇલ બુખારીના હથિયાર એકટના ભંગના મામલામાં જામીન મંજુર કર્યા હતા. આ હથિયાર કેસનો મામલો 1992માં અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તેના પર આરોપ હતો કે શાહપુરમાં રહેનાર નુર મહમદ યાસીન શેખ તથા અબ્દુલ વહાબ સહિત અનેક લોકો અબ્દુલ લતીફના નામના તસ્કરની સાથે હાથ મિલાવી શસ્ત્રોની હેરાફેરી કરતા હતા.