ગોગુમલ કિશનચંદ ભારત તરફથી પાંચ ટેસ્ટ રમ્યા હતા અને 44 રન તેમનો સર્વોચ્ય સ્કોર હતો, તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય બોલિંગ કરી નહતી. જોકે કેબીસીમાં પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ મોટા ભાગના લોકો જાણતા નહોતા.
અમિતાભ બચ્ચે રૂપિયા સાત કરોડની રકમ માટે ક્રિકેટ સાથે જોડાયેલો એક સવાલ કર્યો
કેબીસીમાં પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ મોટા ભાગના લોકો જાણતા નહોતા
'કૌન બનેગા કરોડપતિ'ની ૧૧મી સિઝનમાં ગત શુક્રવારે અમિતાભ બચ્ચે રૂપિયા સાત કરોડની રકમ માટે ક્રિકેટ સાથે જોડાયેલો એક સવાલ કર્યો, ''ડોન બ્રેડમેને કયા ભારતીય બોલરની બોલિંગમાં એક રન લઈને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પોતાની ૧૦૦મી સદી ફટકારી હતી?'' આ સવાલના ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા- બકા જિલાની, કોમાંદુર રંગાચારી, ગોગુમલ કિશનચંદ અને કંવર રાયસિંહ.
બિહારના સ્પર્ધક સનોજ રાજ એક કરોડ રૂપિયા જીતી ચૂક્યો હતો. સાત કરોડના સવાલનો જવાબ જાણતો નહીં હોવાને કારણે તેણે કોઈ જોખમ લીધું નહીં અને ગેમ છોડી દીધી. બાદમાં બિગ બીએ સાચો જવાબ આપતાં જણાવ્યું હતું, ''ગોગુમલ કિશનચંદ.''
જોકે કેબીસીમાં પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ મોટા ભાગના લોકો જાણતા નહોતા, કારણ કે બ્રેડમેને ભારતની આઝાદીના થોડા મહિના બાદ જ પોતાની ૧૦૦મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. એ ઘટનાને દાયકાઓ વીતી ચૂક્યા છે.
ગોગુમલ કિશનચંદ ભારત તરફથી પાંચ ટેસ્ટ મેચ રમ્યા હતા અને ૪૪ રન તેમનો સર્વોચ્ચ સ્કોર હતો. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય બોલિંગ કરી નહોતી, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે ૩૭ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૫ સદી નોંધાયેલી છે. તેમનો જન્મ કરાચીમાં ૧૪ એપ્રિલ, ૧૯૨૫ના રોજ થયો હતો. ભાગલા બાદ તેઓ ઘરેલુ ક્રિકેટમાં વડોદરા અને ગુજરાત તરફથી રમ્યા હતા. તેઓ જમણેરી બેટ્સમેન અને લેગબ્રેક બોલર હતા.
ભારતીય ટીમ લાલા અમરનાથની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. એ આઝાદી બાદ ભારતનો પ્રથમ વિદેશ પ્રવાસ હતો. એ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ૪-૦થી હારી ગઈ હતી, પરંતુ ડોન બ્રેડમેનની સદીવાળી મેચ ભારતે જીતી લીધી હતી. સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયન ઈલેવનવચ્ચે રમાયેલી મેચમાં બ્રેડમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ૧૦૦મી સદી ફટકારી હતી. મેચ જોવા માટે બહુ મોટી સંખ્યામાં દર્શકો એકઠા થયા હતા. એ મેચમાં સ્પિનર વિનુ માંકડે ૧૦ વિકેટ ઝડપી હતી, જ્યારે બેટિંગમાં ભારતના હીરો કિશનચંદ જ રહ્યા હતા, જેમણે અણનમ ૭૫ અને અણનમ ૬૩ રનની ઇનિંગ્સ રમી હતી.
આત્મકથામાં બ્રેડમેને લખ્યું હતુંઃ કિશનચંદને બોલિંગ સોંપવી એ ચાલાકીભર્યો નિર્ણય હતો
મેચ અંગે બ્રેડમેને પોતાની આત્મકથા 'ફેરવેલ ટુ ક્રિકેટ'માં લખ્યું હતું, ''હું જ્યારે ૯૯ રને હતો ત્યારે અમરનાથે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા કિશનચંદને બોલિંગ માટે બોલાવ્યા. તેમણે પહેલાં બોલિંગ નહોતી કરી અને હું જાણતો નહોતો કે તેઓ કેવા બોલર છે. એ ઘણો ચાલાકીભર્યો નિર્ણય હતો, પરંતુ મેં તેમને પૂરું સન્માન આપ્યું અને પછી મિડઓન પર બોલ ધકેલીને એક રન લીધો હતો.'' બાદમાં ભારતના કેપ્ટન લાલા અમરનાથે કિશનચંદને બોલિંગ આપવા અંગે જણાવ્યું હતું, ''હું જ જાણતો નહોતો કે તેઓ કેવી બોલિંગ કરે છે તો બ્રેડમેનને શું ખબર હોય?''