બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહી છે. વર્ષોની પરંપરા મુજબ આજે ભાઈબીજના અવસરે મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવ્યુ હતુ. મેળાને નિહાળવા નકળંગ ભગવાનના દર્શનનો લહાવો લેવા અને મેરાયો જોવા માટે ભારે ભીડ જામી હતી. થરાદ તાલુકાના ઝેંટા લૂણાલ સવપુરા મોટીપાવડ ડોડગામ વાવના ઉચપા અને સૂઈગામ તાલુકાના લીંબાળા ગામે ભગવાન નકળંગના સાનિધ્યમાં રમવામાં આવ્યું હતું.
ગુજરાતનાં લોકનૃત્યોમાં મેરાયોનો સમાવેશ થાય છે. આ મેરાયો લોકનૃત્ય થરાદ - વાવના ઠાકોરો ( કોળી ) નું લોકનૃત્ય છે. આ મેરાયાનો પ્રારંભ થરાદમાં મુસ્લિમ સત્તાના સમયમાં થયો હતો. આ સમયે ઠાકોરોએ લોકોમાં જાગૃકતા ફેલાવવાના ઉદ્દેશથી મેરાયો રમવાની શરૂઆત કરી હતી. મેરાયો રમવાથી ગામમાં પ્રજા એકઠી થતી. થોડા વર્ષો બાદ તેની નકળંગ ભગવાનના મંદિરો એ યોજાતા લોકમેળામાં રમવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
મેરાયો રમવાની શરૂઆત વાવ તાલુકાના દૈયપ ગામના ઠાકોરોએ થરાદ તાલુકામાં કરી હતી. આ મેરાયો નૃત્ય ત્રણ દિવસ સુધી રમવામાં આવતું હતું. દિવાળી અને કારતક સુદ એકમ ના દિવસે જે - તે ગામમાં અને કારતક સુદ બીજ (ભાઈબીજ)ના રોજ થરાદ - વાવમાં યોજાતા નકળંગ ભગવાનના મેળામાં રમવામાં આવે છે. જેમાં થરાદ તાલુકાના લૂણાલ સવપુરા મોટીપાવડ ઝેંટા ડોડગામ અને વાવના ઉચપા અને સૂઈગામ તાલુકાના લીંબાળા ગામે ભરાતા કારતક સુદ બીજના મેળામાં રમવામાં આવે છે. મેરાયાને સ્થાનિક ભાષામાં 'મેરાઈયુ' તરીકે ઓળખવામાં આવે છે.
મેરાયાનો આકાર ઉપરથી ગોળ હોય છે. તેને મુંજાળી (ઝૂંઝાળી) ની સળિયાંમાંથી અને સરખડના ઘાસમાંથી બનાવવામાં આવે છે. તેની નીચે ઝુંમખાં લગાવવામાં આવે છે. જેને નાગલીઓ કહેવામાં આવે છે. આ નાગલી ઓમાં મુંઝાળી (ઝૂંઝાળી) વાપરવામાં આવે છે. આ લોકનૃત્ય રમતી વખતે સામસામે દ્વન્દ્વ યુધ્ધ ખેલવામાં આવે છે અને સમૂહમાં પુરૂષો શૌર્ય રસના પ્રબંધન માટે હુડીલા ગાવે છે. સ્થાનિક ઈતિહાસકાર પ્રકાશભાઈ સુથાર ના જણાવ્યા અનુસાર થરાદ-વાવ ના લોકનૃત્ય મેરાયોનું નામ ગુજરાતભરમાં આજે ગુંજતું થયુ છે. એક પ્રાચીન પરંપરાને થરાદે સાચવી છે. જોકે તેની લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે. મેળામાં આવતા મેરાયોની સંખ્યામાં પણ ઘટાડો આવી ગયો છે. આ મેરાયો એ થરાદ-વાવ ની મોટી ઓળખ છે. મેરાયો લોકનૃત્યને વિવિધ યુનિવર્સિટીઓ અને પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવી રહ્યું છે તેનાથી વિશેષ ગૌરવ શું હોઈ શકે....!!
આ મેરાયોની લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે. વર્ષો પહેલાં દરેક મેળામાં ચાર-પાંચ મેરાયાં આવતાં હતાં પરંતુ હાલમાં બે-ત્રણ જ આવે છે. જે-તે મંદિરે આજુબાજુના વિસ્તારના ઠાકોરો મેરાયો લઇને રમવા આવે છે.