મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેનના પેસેન્જર્સ માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં તેજ ગતિથી હિલચાલ આરંભાઈ છે. બંને રૂટ પર કુલ 18 સ્થળોએ 5471 ટુ વ્હીલર અને 1561 ફોર વ્હીલર મળીને કુલ 7032 વાહનો પાર્ક કરવાની સગવડ ઉપલબ્ધ થશે.
મેટ્રોના પેસેન્જર્સ સારા સમાચાર
પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી શરૂ
બંને રૂટ પર 18 સ્થળો પર હશે પાર્કિંગ
મેટ્રો રેલના થલતેજથી વસ્ત્રાલ અને એપીએમસીથી મોટેરા એમ બંને રૂટ પર ટ્રેન દોડતી થાય તે માટે લાખો અમદાવાદીઓ લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જોકે તા. 30 સપ્ટેમ્બરથી લોકોની પ્રતીક્ષાનો અંત આવી જશે, કેમ કે આ તારીખથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં મેટ્રો રેલનો ધમધમાટ શરૂ થવાનો છે. મેટ્રો રેલના પેસેન્જર્સને દર 30 મિનિટે ટ્રેન મળશે તેમજ બંને રૂટ પર 32 ટ્રેનને દોડાવાય તેવી ચર્ચા છે. મેટ્રો ટ્રેન દોડતી થશે તેના રોમાંચથી શહેરીજનો હરખાયા છે અને અત્યારે તો મેટ્રો રેલ ટોક ઓફ ધ ટાઉન બની છે. આની સાથે મ્યુનિ. સત્તાવાળાઓએ પણ મેટ્રો સ્ટેશનથી 500 મીટરના સર્કલમાં પે એન્ડ પાર્કની સુવિધા પેસેન્જર્સને પૂરી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. બધું સમુસૂતરું પાર પડશે તો મેટ્રો રેલના પેસેન્જર્સને બંને રૂટ પર કુલ 18 સ્થળોએ 5471 ટુ વ્હીલર અને 1561 ફોર વ્હીલર મળીને કુલ 7032 વાહનો પાર્ક કરવાની સગવડ ઉપલબ્ધ થઈ જશે.
16 મેટ્રો સ્ટેશનનો લાભ પેસેન્જર્સને મળશે
પૂર્વથી પશ્ચિમના વસ્ત્રાલથી થલતેજ રૂટ વચ્ચે થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ, એપરલપાર્ક, અમરાઇવાડી, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ એમ 16 મેટ્રો સ્ટેશનનો લાભ પેસેન્જર્સને મળશે, જે પૈકી હાલમાં વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક વચ્ચેના સાડા છ કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલ દોડી રહી છે. આ રૂટ હવે કુલ 21 કિલોમીટરની લંબાઈનો થશે.
કુલ 14 મેટ્રો સ્ટેશન ઊભાં કરાયાં
જ્યારે ઉત્તરથી દક્ષિણના એપીએમસી-વાસણાથી મોટેરા વચ્ચેના 18.89ના રૂટ પર પ્રથમ વખત મેટ્રો રેલ દોડવાની છે. આ રૂટ પર મોટેરા સ્ટેડિયમ, સાબરમતી, એઈસી, સાબરમતી સ્ટેશન, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ગાંધીગ્રામ, પાલડી, શ્રેયસ ક્રોસિંગ, રાજીવનગર, જીવરાજપાર્ક અને એપીએમસી-વાસણા એમ કુલ 14 મેટ્રો સ્ટેશન ઊભાં કરાયાં છે. પેસેન્જર્સને જૂની હાઇકોર્ટ-ઈન્કમટેક્સ પાસેથી રૂટ બદલવાની સુવિધા અપાઈ છે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ હાથ ધરી કામગીરી
બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મેટ્રો ટ્રેનના પેસેન્જર્સ માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં તેજ ગતિથી હિલચાલ આરંભાઈ છે. આનાથી ગાંધીગ્રામ, ઘીકાંટા, ગુજરાત યુનિવર્સિટી, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઈકોર્ટ, શાહપુર, સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા અને વાડજ મેટ્રો ટ્રેનના પેસેન્જર્સને પોતાનાં વાહન માટે પાર્કિંગનો લાભ મળશે. તંત્ર દ્વારા આ તમામ મેટ્રો સ્ટેશનની આસપાસ 500 મીટરના સર્કલમાં 18 સ્થળોએ પે એન્ડ પાર્ક ઊભાં થનાર છે, જે પૈકી કેટલાંક હયાત છે તો કેટલાંક પ્રસ્તાવિત છે.
મેટ્રોના પેસેન્જર્સ આનંદોઃ બંને રૂટ પરનાં 18 સ્થળોએ પાર્કિંગ સુવિધા
ગાંધીગ્રામ, ઘીકાંટા, યુનિવર્સિટી, કાલુપુર, નિરાંત ક્રોસ રોડ, જૂની હાઈકોર્ટ, શાહપુર, સ્ટેડિયમ, થલતેજ, ઉસ્માનપુરા અને વાડજ મેટ્રો સ્ટેશન પાસે પેસેન્જર્સ વાહન પાર્ક કરી શકશે