શહેરમાં પગાર બાબતે અવારનવાર મારામારીના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો થલતેજ વિસ્તારમાં બન્યો છે. થલતેજમાં આવેલ દ્રોણાચાર્ય જિમના માલિક અને જિમ ટ્રેનર વચ્ચે પગાર બાબતના ઝઘડામાં સામ-સામે મારામારીની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. સોલા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
ઘોડાસર વિસ્તારમાં આવેલ અશોક ટેનામેન્ટમાં રહેતા ઉમેશ શબદાણીએ તેમના જિમમાં ટ્રેનર વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ઉમેશભાઈ થલતેજ પાસે આવેલ ટાઈમ્સ સ્ક્વેર આર્કેડમાં દ્રોણાચાર્ય નામનું જિમ ધરાવે છે અને જિમમાં છેલ્લા એક મહિનાથી મનદીપિસંઘને ટ્રેનર તરીકે રાખ્યો હતો.
ગઈ કાલે સવારના દસ વાગ્યાની આસપાસ ઉમેશભાઈ અને તેમના પિતા કૈલાસભાઈ જિમ પર હાજર હતા તે વખતે મનદીપિસંઘે જિમ પર આવીને કૈલાસભાઈને કહ્યું કે મારો પગાર મને ચૂકવી દો, મારે તમારા ત્યાં નોકરી કરવી નથી, જેથી કૈલાસભાઈએ તેને કહ્યું કે તમારે નોકરી નથી કરવી તો જિમની ચાવી શું કામ લઇ ગયા હતા.
આમ કહીને કૈલાસભાઈએ અડધા દિવસનો પગાર કાપીને પગાર આપવાની વાત કરતાં મનદીપિસંઘ એકદમ કૈલાસભાઈ પર ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો કે તમે શેનો પગાર કાપો, તમે પહેલાં જિમનું કામ શીખીને આવો તેમ કહીને બીભત્સ ગાળો બોલીને કૈલાસભાઈને બે-ત્રણ લાફા મારી દીધા હતા. તે દરમિયાનમાં ઉમેશભાઈ પિતાને બચાવવા વચ્ચે પડતાં મનદીપિસંગે તેના માથામાં ધારદાર હથિયાર મારી દેતાં લોહી નીકળી ગયું હતું.
કૈલાસભાઈ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પુત્રને સોલા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં જિમ ટ્રેનર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બીજી બાજુ જિમ ટ્રેનર મનદીપિસંઘે પણ જિમ માલિક પિતા-પુત્ર પર મારામારીની ફરિયાદ નોંધાવી છે. કૈલાસભાઈ અને તેમના પુત્રએ મનદીપિસંગને લાફો મારી ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે હાલ બન્ને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.