હિંમતનગરના ભાવપુર અને ઢુંઢરમાં દુષ્કર્મ કેસ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે પીડિતાને ન્યાય અપાવવા મામલે ઠાકોર સેના અને કોંગ્રેસના કાર્યકરો દુકાન બંધ કરાવવા માટે નિકળ્યા હતા. ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ દુકાન બંધ કરાવવા માટે નિકળ્યા હતા.
જેની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસે દુકાન બંધ કરાવી રહેલા લોકોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાવપુર ગામે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામ નજીક ફેક્ટરીમાં લઈ જઈને શખ્સે કૃત્ય આચર્યુ હતું. ફેક્ટરીમાં કામ કરી રહેલા કામદાર પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ગ્રામજનોમાં રોષ જાગ્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળુ ફેક્ટરીએ પહોચ્યું હતુ અને ફેક્ટરીમાં પાર્ક કરેલા વાહનોમાં આગચંપી કરી હતી. ગાંભોઈ પોલીસે આરોપી કામદારની ધરપકડ કરી છે. પરિસ્થિતિને ધ્યાને રાખી મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
આ દુષ્કર્મની ઘટના ભાવપુર ગામની અનુપમ સિરામિક કંપનીમાં બની હતી. આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા કંપનીએ પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામલોકોએ કંપનીની ગાડીઓ અને સામાનને તોડફોટ અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં માલિક અને કેટલોક સ્ટાફ જીવ બચાવવા ફરાર થઇ ગયા હતા. જ્યારે આરોપી કામદારની ગાંભોઇ પોલીસે ધરપકડ કરી લીધી હતી.