બનાસકાંઠામાં ઠાકોર સમાજની બહૂમતી ધરાવતા દાંતીવાડા તાલુકાના 12 ગામોએ સમાજનું પોતાનું બંધારણ બનાવી યુવતીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સાથે ઠાકોર સમાજના કોઈ પણ પ્રસંગમાં ડીજે વગાડવાં અને ફટકાડાં ફોડવા પર મનાઈ ફરમાવાઈ છે. સમાજમાં કોઈ યુવક કે યુવતી ભાગીને પ્રેમ લગ્ન કરશે તો પિતાને 2 લાખનો દંડ અપાશે. ટેક્નોલોજીના ડિજિટલ યુગમાં ઠાકોર સમાજે બનાવેલું આ બંધારણ કંઈક ચોકવનારું છે, સાથે એક પ્રશ્નાર્થ પણ છે કે આ બંધારણ સમાજની પગ્રતિ કે પછી અધોગતિનું પરિમાણ છે.
એક તરફ દેશ ૨૧મી સદી તરફ આગળ વધી રહ્યો છે જ્યારે બીજી તરફ પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની બહુમતી ધરાવતા 12 ગામના આગેવાનોએ સામાજિક બંધારણ બનાવ્યું છે. જેમાં યુવતીએ મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવાની સાથે સાથે જો કોઈ યુવક યુવતી સમાજ વિરોધી પ્રવૃત્તિ કરે તો તેના પિતાને દંડ ફટકારવા જેવા નિયમો બનાવતા હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને ૨૧મી સદીએ જ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય છે. જેમાં દેશ અને દુનિયાનું જ્ઞાન મૂઠીમાં આવી ગયું છે એટલે કે મોબાઈલમાં આવી ગયું છે. જેથી લોકો પોતાના બાળકોને જ્ઞાની બને તે માટે મોબાઈલ, નેટ જેવી સુવિધાઓ આપતા હોય છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જેગોલ ગામમાં બાર ગામના આગેવાનોએ ભેગા મળી ઠાકોર સમાજની યુવતીઓને મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની આ ગામમાં ઠાકોર સમાજની બહુમતી છે. આમ તો સમગ્ર બનાસકાંઠા જીલ્લાની અંદર સૌથી વધુ ઠાકોર સમાજની વસ્તી છે. પરંતુ અહીં ઠાકોર સમાજની બહુમતી ધરાવતા 12 ગામના લોકો સાથે મળી કેટલાક સામાજિક નિયમો બનાવ્યા છે. જેમાં ઠાકોર સમાજમાંથી કુરિવાજો અને દૂષણો દૂર કરવાની વાત કરવામાં આવી હતી.
બનાસકાંઠામાં ઠાકોર સમાજે બનાવ્યું બંધારણ, શું છે કાયદાઓ?
તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા
સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા
મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં
વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં
જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં
ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે
જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ દંડ
જ્યારે છોકરો કોઇ સાથે જતો રહે તો માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે
આમ, ક્ષત્રિય ઠાકોરના આ બનાવેલા નિયમોથી સમાજને કેટલો ફાયદો થાય છે એ જોવાનું રહ્યું....
ઠાકોર સમાજના બાર ગામના આગેવાનોની બેઠક
જો કે આ અગાઉ પણ ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે લીડ કરી હતી. દારૂબંધી માટે પ્રતિજ્ઞા લેવડાવી દારૂના દુષણને દૂર કરવા કડક નિયમો બનાવ્યા હતા. દારૂ વેચતા ગામમાં અને લોકોના ઘરે જઈ જનતા રેડ કરી સમાજને દારૂથી વ્યસનથી મુક્ત બનાવવા માટે પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ રવિવારે દાંતીવાડા તાલુકાના જેગોલ ગામમાં ઠાકોર સમાજના બાર ગામના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, વ્યસન દૂર કરવા સાથે સાથે જ યુવતીઓએ મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સમાજના વિકાસ માટે નિયમો બનાવ્યા છે
આ સિવાય સમાજનો યુવક-યુવતી જો સમાજ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે એટલે કે પ્રેમલગ્ન કરે તો તેના પરિવારને એટલે કે યુવક કે યુવતીના પિતાને દંડ ફટકારવામાં આવશે તેવા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જોકે આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જ્યારે ગામના લોકો અને ઠાકોર સમાજના અગ્રણીઓ સમાજના હિત માટે આ નિર્ણય લીધો હોવાનું કહી રહ્યા છે.
દારૂના વ્યસનના કારણે દીકરીઓ નાની ઉમરમાં જ વિધવા
ઠાકોર સમાજે આવા નિયમો શા માટે બનાવવા પડ્યા છે તે જ્યારે અમે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે આજે ગામના લોકોએ જે નિર્ણય કર્યો છે તે 12 ગામની અંદર જ દારૂના વ્યસનના કારણે અનેક પરિવારો પાયલ બન્યા છે. આ બારે ગામમાં અંદાજે ૩૦૦થી પણ વધુ પરિવારોમાં દારૂના વ્યસનના કારણે સમાજની દીકરીઓ નાની ઉમરમાં જ વિધવા બની છે.
ઠાકોર સમાજે આગાઉ વ્યસનમુક્તિ માટે પણ અભિયાન શરૂ કર્યુ હતું. તેના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વ્યસનમુક્તિના અભિયાનથી ઠાકોર સમાજમાં નેતા અલ્પેશ ઠાકોરનો જન્મ થયો હતો. સમાજમાંથી વ્યસન મુક્ત કરવા માટે અને દારૂની બદીથી સમાજને મુક્ત કરવા માટે અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનોએ અનેક પ્રયાસો કર્યા છે.
ત્યારે હવે ફરીથી ઠાકોર સમાજની અંદર કુરિવાજો દૂર કરવા માટે અને ખાસ કરીને મોબાઈલના કાલે લોકોના શારીરિક અને માનસિક પર થતી અસરો અને દૂર કરવા માટે જે નિર્ણય કર્યો છે તેને યુવાનો પણ આવકાર્યા છે અને સમાજના યુવતિઓ પણ આ નિર્ણયને આવકારે તેનું પાલન કરશે તેમ જણાવી રહ્યા છે.