અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડ્યંત્ર રચી રહ્યા છે. મોલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચના અપાઈ.પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વાહનોના ચેકિંગની સુચના
અમદાવાદમાં પર આતંકનો ઓથાર
નાપાક શક્સોની સંદિગ્ધ હિલચાલ
પોલીસ વિભાગ એકશનમાં;બંદોબસ્ત
પોલીસ કમિશનરના એલર્ટ મામલે જાહેરનામું અને ગઈ કાલે કંટ્રોલ રૂમમાં આવેલા નનામા કોલથી એક વાત ચોક્કસ છે કે અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડ્યંત્ર રચી રહ્યા છે.ગુરુવારે પોલીસ કંટ્રોલરૂમમાં એક નનામો કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદોમાં શંકાસ્પદ માણસો છે, જે ભારતીય ભાષા જાણતા નથી. કંટ્રોલરૂમમાં આવેલા કોલ બાદ શહેર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ દોડતાં થયાં હતાં અને કોટ વિસ્તારમાં આવેલી પાંચેક મસ્જિદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ મળી નહીં આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કોલ કરનાર વ્યક્તિ કોણ છે તેની ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતની સ્થિતિ સર્જાઇ છે અને બે દિવસ પહેલાં પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને એલર્ટ આપ્યું હતું તે જોતાં અમદાવાદ પર આતંકી હુમલાનું ષડ્યંત્ર ઘડાઇ રહ્યું હોય તેવું સુરક્ષા એજન્સીઓ માની રહી છે.
પોલીસ વિભાગનું જાહેરનામું
એક તરફ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરના મોલની સુરક્ષાને લઈ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હુમલા થઈ ચૂક્યા છે, જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી, જેથી અમદાવાદના મોલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈ તમામ વાહનોનાં ચેકિંગ કરવા માટેની પણ સૂચના અપાઈ છે.
ઈન્ટેલીજન્સને ઇનપુટસ
એક બાજુ જમ્મુ-કાશ્મીરમાં ‘ટાર્ગેટ કિલિંગ’ની આતંકી ઘટનાઓથી માહોલ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે ત્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) બીજું મોટું ષડ્યંત્ર રચી રહી હોવાના પણ આઇબીને ઇનપુટ્સ મળ્યા છે. આ ષડ્યંત્ર હેઠળ આતંકવાદીઓના નિશાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતાઓ પણ છે. આ ઉપરાંત પંજાબમાં મળી આવેલા ટિફન બોમ્બ તેમજ દિલ્હીમાં હથિયાર સાથે ઝડપાયેલા આતંકવાદીઓની ઘટના એક વાતને ચોક્કસ પુરવાર કરે છે કે આતંકવાદીઓ દેશને તોડવાની ફિરાકમા છે.
બજારની ભીડ પર પોલીસનો જાપ્તો
આસામ પોલીસને મળેલા ઈન્ટેલ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે આઇઇડી વિસ્ફોટ કરવાનું પણ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. ISIS ભીડભાડવાળા વિસ્તારોમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પણ આતંકીઓના નિશાને છે. પોલીસે તેને લઈને અધિકૃત રીતે કંઈ કહ્યું નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી તૈયારીઓ કરાઈ છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ખરીદી માટે મોટા પ્રમાણમાં ભીડ ઊમટી રહી છે. આ સિવાય સરકારી કચેરીઓમાં પણ કોઇ પણ પ્રકારના ચેકિંગ વગર લોકો અવરજવર કરી રહ્યા છે. આવી સ્થિતમાં પોલીસ કમિશનરે બહાર પાડેલું જાહેરનામું તેમજ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે કરેલો કોલ ઘણું બધું કહી બતાવે છે.
અમદાવાદમાં સજ્જડ બંદોબસ્ત
હાલ અમદાવાદમાં ઠેરઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય ATS તેમજ ક્રાઇમ બ્રાંચ જેવી એજન્સીઓ ટેકિનકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ કોલ ટ્રેસ કરી રહી છે તેમજ ફોન પર ઉપયોગ થતા કેટલાક કોડવર્ડને પણ ક્રેક કરવાની કોશિશ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે. હાલ દિવાળીના પગલે આતંકવાદીઓ દેશને રક્તરંજિત કરવાની ફિરાકમાં છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ તેમના આ ઇરાદા ઉપર પાણી ફેરવવા માટે મહેનત કરી રહી છે.
જાહેર સ્થળો પર નજર
પોલીસે રેલવે સ્ટેશન, એસટી બસસ્ટેન્ડ, એરપોર્ટ તેમજ વિવિધ જગ્યા ઉપર વોચમાં છે તેમજ શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા પર પોઇન્ટ મૂકી દીધા છે, જ્યારે અમદાવાદ ફરતે કેટલા પરપ્રાંતીય લોકો મકાન ભાડે લઇને રહે છે તેની પણ તપાસ શરૂ કરી દીધી છે તો બીજી તરફ હોટલ અને ગેસ્ટ હાઉસમાં રહેતા લોકોની પણ તપાસ કરી રહી છે.