સુબ્રોતોના ભાઈનું કહેવું છે કે, કંટાળીને મેં પણ થોડા દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હવે મારા ભાઈએ આત્મહત્યા કરી દીધી છે.
અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરોનો આતંક
5 લાખનું 14 લાખ વ્યાજ પડાવ્યું છતાં ત્રાસ
ફરિયાદ ન નોંધનારા પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે?
અમદાવાદમાં એક શિક્ષકની આત્મહત્યાનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 લાખ રૂપિયાનું વ્યાજખોરોએ 14 લાખ રૂપિયા વ્યાજ ઉઘરાવ્યું અને તેમ છતાં તેમની ભૂખ ન સંતોષાતા શિક્ષકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
3 વ્યાજખોરે રૂ.14 લાખ વ્યાજ પડાવ્યું
સમગ્ર ઘટના શહેરના ઓઢવ વિસ્તારની છે. અહીં રહેતા સુબ્રોતો પાલના મોટા ભાઈએ યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું. છતાં આ ત્રણેય લોકો વ્યાજ માટે અવારનવાર હેરાન-પરેશાન કરતા હતા. મૃતક અને તેના મોટાભાઈને ઘરની બહાર બોલાવીને મારતા હતા, આ સાથે જ અહીંથી ઇન્દોર લઈ જઈને પણ મારવાની ધમકી આપતા હતા. આ મુદ્દે સુબ્રોતોએ પોલીસમાં ફરિયાદ કરવાની કોશિશ પણ કરી પરંતુ તેમની ફરિયાદ ન લીધી. જેથી કંટાળી સુબ્રોતોએ આત્મહત્યા કરી લીધી. જોકે આત્મહત્યા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી હતી.
સુસાઇડ નોટ લખી શિક્ષકનો આપઘાત
સુસાઈડ નોટમાં તેમણે લખ્યું કે, અહીં પોલીસ વ્યાજે પૈસાની વાતનો સ્વિકાર નથી કરી રહી. પૈસા ક્રિપ્ટો કરન્સી અને શેરબજાર માટે લીધા હોવાની વાતો થઈ રહી છે. જ્યારે બીજી તરફ સુબ્રોતોના ભાઈનું કહેવું છે કે, કંટાળીને મેં પણ થોડા દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને હવે મારા ભાઈએ આત્મહત્યા કરી દીધી છે. કારણ કે, પોલીસ પણ અમારું નથી સાંભળતી. તેવામાં સવાલ એ થાય છે કે, વ્યાજખોરોને કાયદાનો ભય કેમ નથી? વ્યાજખોરોના ત્રાસને લઈ હજુ કેટલા લોકો જીવ ગુમાવશે? પોલીસે મૃતક યુવકની ફરિયાદ કેમ નોંધી નહોતી? ફરિયાદ ન નોંધનારા પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે? હાલ તો પોલીસ તપાસની વાતો કરે છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આ પરિવારને ન્યાય મળે છે કે, પછી વ્યાજખોરોને પોલીસ છાવરે છે.