નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સરકાર બદલાઇ અને ઇમરાન ખાન ગાદી પર આવ્યા. પરંતુ પાકિસ્તાનની આતંકનીતિમાં કોઇ જ ફેર આવ્યો નથી. દેશ ચલાવવા માટે પાકિસ્તાનને ભલે ભેંસો વેચવી પડે પ્રધાનમંત્રીની કારની હરાજી કરવી પડે પરંતુ આતંકવાદીઓને પકડવાની વાત તો દૂર તેમની આઝાદી અને સહુલીયતમાં કોઇ જ ઉણપ આવતી નથી. એટલે આવી સ્થિતિમાં આતંકીઓ ઉરી જેવો હુમલો ફરી એકવાર કરવાના મૂડમાં છે. આ પાપમાં પાકિસ્તાની સેના પણ બરોબરની ભાગીદાર છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ પાપને ઢાંકવા માટે કાશ્મીરના...
પાકિસ્તાનમાં ઇમરાન રાજ કરે કે પછી નવાઝ. પાડોશી દેશમાં આંતકનો અવાજ ક્યારેય દબાતો નથી. તેના પડઘા સીધા જ ભારતની ધરતી પર પડે છે. દેશ ખાતર અધવચ્ચે જ જીવન ન્યોછાવર કરનારા આ જવાનો પાકિસ્તાનના પાપનો એક રીતે પુરાવો છે. રવિવારની સાંજે પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના આ ત્રણેય જવાનોએ શહીદી વહોરી લીધી. એલઓસી પાસે આવેલા સુંદરબની વિસ્તારમાં કેટલાક આતંકીઓએ ઘુષણખોરીનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતીય સેનાએ તેમને રોકવા માટે ફાયરિંગ કર્યું. તો સીમાપારથી પણ ગોળીઓ છુટવા લાગી. જેમાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ પાપને ઢાંકવા માટે કાશ્મીરના નાગરિકો પ્રત્યે વ્હાલ દર્શાવી રહ્યા છે. ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું કે કશ્મીરની સમસ્યા માટે યુએનના દ્વાર ખખડાવવા જોઇએ.
PoKમાં 60થી 70 આતંકવાદીઓ થયા એકઠા
સુંદરબનીમાં સેનાના જવાનો ભોગ બન્યા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીને ચોંકવનારો રિપોર્ટ મળ્યો. રવિવારે ભારતના જવાનો પર આતંકીઓએ નહીં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ એટલે કે બેટના 6 જવાનોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પીઓકેમાં ત્રણ જગ્યાએ 60થી 70 આતંકીઓ એકઠા થયા છે. તેમને પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાનું સમર્થન છે. એકઠા થયેલા આતંકીઓમાં મોટાભાગના લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના આતંકીઓ છે. જે ગમે ત્યારે ભારતમાં પ્રવેશ કરશે. આતંકીઓના આ લોન્ચિંગ પેડ તંગધાર અને ઉરી સેક્ટરથી એકદમ નજીક છે. એટલે હવે આ વિસ્તારમાં ફરજ બજાવતા સેનાના જવાનોએ વધુ સતર્ક રહેવું પડશે. કારણ કે 18 સપ્ટેબર 2016ના રોજ ઉરીમાં જ સેનાના કેમ્પ પર સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતા. પરંતુ આ વખતે ઉરી જેવી ઘટના થાય તે પહેલા જ સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.
આતંકીઓને સભામાં લાવવા માટે પાકિસ્તાનની સેનાના વાહનોનો ઉપયોગ
જે વખતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ટ્વીટર મારફતે શાંતિના કબૂતર ઉડાવવાનો ઢોંગ કર્યો ભારતની સરકાર અને સેનાને શિખામણ આપી રહ્યા હતા તે જ સમયે હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી સલાહુદ્દીન પાકિસ્તાન તાબાના કાશ્મીરમાં પહોંચ્યો હતો. હદ તો એ છે કે સલાહુદ્દીને મુઝફ્ફરાબાદમાં સભા યોજી. જેમાં 100થી વધુ આતંકીઓ ઉમટ્યા. આ તમામ આતંકીઓને સભામાં લાવવા માટે પાકિસ્તાનની સેનાના વાહનોનો ઉપયોગ થયો. એટલે ઇમરાન ખાને ભારતને શિખામણ આપવાના બદલે પોતાના શાસનમાં આઝાદ ફરતા આતંકીઓને રોકવા જોઇએ. નહીં તો કંગાળ પાકિસ્તાનની હરકતનો ભારતીય સેનાને સર્જીકલ સ્ટ્રાઇક રૂપે કડક જવાબ આપતા વાર નહીં લાગે.