ગાંધીનગરઃ ઓછા વરસાદવાળા વિસ્તારો માટે સરકારે કમર કસી છે. રાજ્ય સરકારે પશુ માટે ઘાસચારો ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. સરકાર દ્વારા 2 કરોડ કિલો ઘાસચારો ખરીદવામાં આવશે. આ ઉપરાંત ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં સર્વે પણ કરવામાં આવશે અને જરૂરિયાતવાળા વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં સીઝનનો સરેરાશથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે પાણી મળે તે માટે પૂરતો પ્રયત્ન કર્યો છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ પાણી આપ્યા છે. પાણીનો જીવંત જથ્થો 39 ટકા પાણી છે. ખેડૂતોના પાક બચાવવા સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે આ વર્ષે સીઝનનો વરસાદ ઓછો વરસ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ઓછા વરસાદવાળા વિસ્તારોમાં રાજ્ય સરકારે પશુ ઘાસચારો ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે.