અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ નિર્મલ એપાર્ટમેન્ટની જર્જરિત હાલત હોવાથી રી-ડેવલપમેન્ટ પોલિસીને લઈને સ્થાનિકો આકરા પાણીએ થયા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલા નિર્મલ એપાર્ટમેન્ટની હાલત જર્જરિત
રી-ડેવલપમેન્ટ પોલિસીને લઈને સ્થાનિકો અવઢવમાં
વાટાઘાટો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ પોસ્ટર વોર શરૂ કર્યુ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઉસિંગના મકાનોના રીડેવલેપમેન્ટને લઈને વિવાદ શરૂ થયો છે. 30 વર્ષ પહેલા બનેલા નિર્મલ એપાર્ટમેન્ટ હાલ જર્જરિત હાલતમાં છે. મકાનના પોપડા, દીવાલ, બીમ બધું જર્જરિત થઈને પડી રહ્યું હોવાથી રીડેવલેપમેન્ટ માટેનું ટેન્ડર 2016 માં બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી આ દિશામાં કામગીરી આગળ વધી ન હોવાથી રહીશોમાં રોષ ફેલાયો છે.આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સોસાયટી હાઉસિંગ બોર્ડની હોવાથી બોર્ડ નક્કી ન કરે ત્યાં સુધી તેનું ડેવલમેન્ટ શક્ય ન હોવાથી સ્થાનિકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
'પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી રાજકીય પક્ષે વોટ માંગવા આવવું નહી'
રીડેવલેપમેન્ટ પોલિસી બનાવી છે તેમાં એટલી બધી ગરબડ છે કે જ્યાં સુધી પોલીસ નહીં સુધરે ત્યાં સુધી પ્રજા અને બિલ્ડર અટવાયેલા રહે છૅ. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન મુદ્દે હવે સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં છે. રીડેવલપમેન્ટ પોલિસીને લઈને સ્થાનિકો અવઢવમાં મુકાયા છે ત્યારે અવઢવ દુર કરવા સરકાર સાથે વાટાઘાટો પણ કરી છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ પોસ્ટર વોર શરૂ કર્યું. પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષે વોટ માંગવા આવવું નહિ તેવો પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે જો પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો આગામી દિવસમાં સ્થાનિકોએ અન્ય કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
સમસ્યાનો અંત નહી આવે તો ઉગ્ર વિરોધ કરાશે
મહત્વનું છે કે હવે જો રીડેવલપમેન્ટ કરવું હોય તો પોલિસીમાં સુધારો કરવો જરૂરી બન્યો છે. સુધારા બાદ જ ડેવલોપર અને પ્રજા વચ્ચે સમજૂતી થઈ શકશે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ " દ્વારા હાલની રિડેવલોપમેન્ટ પોલિસી માર્ગદર્શિકા ૨૦૧૬ " તથા રિડેવલપમેન્ટમાં જવા માટેની પ્રોસેસમાં પ્રજાનાં હિત વિરુદ્ધ કરવામાં આવેલ છે જો અમુક નીતિનિયમો પાછા ખેંચવામાં નહિ આવે સોસાયટીના સભ્યો આવનાર સમયમાં હાઉસિંગ બોર્ડની કોલોનીઓ દ્વારા જે તે સરકારી સંસ્થાઓ, તંત્ર તથા તેમના કર્મચારીઓના નિષ્કિય અને ઢીલા વલણ વિરૂધ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.