મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧ ઓકટોબર ર૦૧૮થી શહેરીજનો પાસેથી જે તે મિકલતના પ્રકાર મુજબ સફાઇ કર (યુઝર્સ ચાર્જ) વસૂલવાની નીતિ જાહેર કરાઇ છે. જે હેઠળ રહેણાક મિલકતોમાં પ્રતિ દિવસનો એક રૂપિયો અને બિનરહેણાક મિલકતમાં પ્રતિ દિવસ રૂ.ર વસૂલાશે
આ સફાઇ કર જે તે કરદાતાના પ્રોપર્ટી ટેકસનાં બિલમાં સામેલ કરાશે. જોકે અત્યાર સુધી ધાર્મિક સ્થાનો પાસેથી કોઇ પ્રોપર્ટી ટેકસ વસૂલાતો નહોતો, પરંતુ હવે સફાઇ કર ધરાવતા પ્રોપર્ટી ટેકસનાં બિલ અપાશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઇ કર વસૂલવા માટે મુકાયેલી દરખાસ્તને ગત તા.૧૪ સપ્ટેમ્બર ર૦૧૮એ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. જોકે કર વસૂલાત હવે કરાશે.
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાર્ષિક સફાઇ કર પેટે રહેણાક અને બિનરહેણાક મિલકતના સફાઇના ચાર્જ ગત તા.૧-૧૦-ર૦૧૮થી મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા વસૂલવાની સત્તા સ્ટેન્ડિંગ કમિટીએ આપી હતી.
જેના કારણે પાછલા છ મહિનાનાં એરિયર્સ અને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના સફાઇ કર સહિતન ટેકસ બિલ કરદાતાઓને અપાઇ રહ્યાં છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર, મસ્જિદ, દેરાસર, ગુરુદ્વારા અને ચર્ચ પાસેથી સફાઇ કર વસૂલાશે.
જાણકાર સૂત્રો કહે છે કે જે ધાર્મિક સ્થાનમાં પૂજારી કે અન્ય કેરટેકર રહેતા હશે તેવાં ધાર્મિક સ્થાનને રહેણાંક મિલકતમાં ગણીને ત્યાંથી વાર્ષિક રૂ.૩૬પ સફાઇ કર પેટે વસૂલાશે. જયારે અન્ય ધાર્મિક સ્થાનોને બિન રહેણાક મિલકતમાં ગણીને ત્યાંથી વાર્ષિક રૂ.૭૩૦નો સફાઇ કર વસૂલાશે.
આ ધાર્મિક સ્થાનોએ પાછલા છ મહિનાનો સફાઇ કર પણ ચૂકવવો પડશે. મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા આશરે પ,૦૦૦ ધાર્મિક સ્થાનો માટેના સફાઇ કરનાં બિલ તૈયાર થઇ રહ્યાં છે. આ તમામ સફાઇ કરને યુઝર્સ ચાર્જ હેડ હેઠળ નાણાં વિભાગમાં જમા કરાવાશે.