ગુજરાતમાં સતત કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
રાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો
રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર
સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે. જેમાં રાજ્યમાં ગઇ કાલે સૌથી વધુ તાપમાન અમદાવાદ (Ahmedabad) માં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ ગાંધીનગરમાં 45.8 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન, પાટણમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમરેલીમાં 44.8 ડિગ્રી, જૂનાગઢમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 44.5 ડિગ્રી અને રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે.
ગુજરાતમાં ગરમી સતત કહેર વર્તાવી રહી છે. જેમ-જેમ દિવસ જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લીલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને લઇને શું કરાઇ છે આગાહી ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે. 11 મેથી 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.
ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસારે અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.
આસની ચક્રવાતની ગુજરાતમાં કોઇ અસર નહીં
'આસની' નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. આ ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. જો કે વેસ્ટ બંગાળના વાવાઝોડા આસનીની ગુજરાત પર કોઇ અસર નહી થાય હવામાન વિભાગે જણાવ્યું હતું.