ભારતમાં ધીમે ધીમે એર કંડીશનરની માંગ ખુબ વધી રહી છે. એક અહેવાલ અનુસાર 2050માં વિશ્વમાં ACની સૌથી વધારે માંગ ભારતમાં જ હશે ત્યારે ભારત સરકારનાં ઉર્જા મંત્રાલયે નોટીફીકેશન બહાર પાડીને નવા નિયમો લાગુ કરી દીધા છે. નવા નિયમો અત્યારથી લાગુ કરી દેવામાં આવશે અને બધી જ બ્રાંડના બધા જ પ્રકારનાં એસી પર આ જ નિયમ લાગુ થશે.
વીજળીની બચત માટે સરકારનો મોટો નિર્ણય
એજન્સી BEEએ રૂમ એસી માટે એનર્જી પરફોર્મન્સ સ્ટેન્ડર્ડ નક્કી કર્યા
એક ડિગ્રી તાપમાન વધારવામાં આવે તો 6 ટકા વીજળી બચાવી શકાય
આ વર્ષે ઉનાળામાં જો તમે એર કંડીશનર (AC) ખરીદશો તો તે 24 ડિગ્રી સેલ્સિયસ થી શરુ થશે. બધી જ કંપનીઓનાં બધા જ પ્રકારનાં ACમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેટ કરવામાં આવ્યું છે. તાપમાનને 24થી વધારી અને ઘટાડી શકાશે. ઉર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ નવા વર્ષથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમ 1લી જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિયમ બધા જ સ્ટાર રેટિંગનાં AC પર લાગુ કરવામાં આવશે.
બધા જ પ્રકારનાં સ્ટાર રેટિંગ ધરાવતાં રૂમ એસી માટે 24 ડિગ્રી સેલ્સિયસ ડિફોલ્ટ સેટિંગ કરવામાં આવ્યું
વીજળી બચત માટે નિયમો નક્કી કરતી એજન્સી BEEએ સરકાર સાથે મળીને રૂમ એસી માટે એનર્જી પરફોર્મન્સ સ્ટેન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. નોટીફીકેશન મુજબ બધા જ બ્રાંડ અને બધા જ પ્રકારનાં સ્ટાર રેટિંગ ધરાવતાં રૂમ એસી માટે 24 ડિગ્રી સેલ્સિયસ ડિફોલ્ટ સેટિંગ કરવામાં આવ્યું છે. તેમાં 1થી 5 સ્ટાર રેટિંગ ધરાવતાં અને વિન્ડો એસી તથા સ્પ્લીટ એસી પણ સામેલ છે.
સ્ટાર લેબલિંગનાં કારણે 2017-18માં જ 4.6 અબજ યુનિટ ઉર્જાની બચત થઇ
આ જ સંસ્થાએ 2006માં સ્ટાર રેટિંગ લેબલિંગ લોન્ચ કર્યું હતું જેને સરકારે 12 જાન્યુઆરી, 2009માં લાગુ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ 2015માં એસીના ઇન્વર્ટર માટે સ્ટાર લેબલની શરૂઆત કરી. સ્ટાર લેબલિંગનાં કારણે 2017-18માં જ 4.6 અબજ યુનિટ ઉર્જાની બચત થઇ. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલ અનુસાર વર્ષ 2050માં દુનિયામાં સૌથી વધારે એસીની માંગ ભારતમાં હશે. આ અહેવાલ અનુસાર ભારતમાં તેની ખરીદીમાં 4206 ટકાનો વધારો જોવા મળ્યો છે.
એસીને જો 24 ડિગ્રી પર ચલાવવામાં આવે તો વીજળીની ખુબ બચત કરી શકાય છે. એક ડિગ્રી તાપમાન વધારવામાં આવે તો 6 ટકા વીજળી બચાવી શકાય છે.