જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરાઇ જાય, તો સરકાર તમને તે શોધવામાં મદદ કરશે. શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે મુંબઈમાં એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને તેમના ચોરાયેલો અથવા ખોવાયેલા મોબાઇલ ફોન શોધવામાં મદદ કરશે.
ચોરાયેલો કે ખોવાયેલ મોબાઇલ શોધી આપશે સરકાર
14422 નંબર ડાયલ કરી નોંધાવી શકાય ફરિયાદ
માત્ર IMEI પરથી મળી જશે મોબાઇલ
કેમ શરૂ કરાયો આ પ્રોજેક્ટ
તેના માટે, ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ (દુરસંચારવિભાગ) એ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
IMEI નંબર દ્વારા ઝડપી શકાશે
દરેક મોબાઈલની એકમાત્ર ઓળખ 'ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી' (International Mobile Equipment Identity-IMEI) છે. સામાન્ય રીતે સીમકાર્ડના એક અથવા બે સ્લોટ ધરાવતા હેન્ડસેટના એક અથવા બે IMEI નંબર જોવા મળતા હોય છે.
અત્રે જણાવી દઇએ કે, IMEI નંબરને ફરીવાર પ્રોગ્રામ કરી શકાય છે. કેટલાક છેતરપીંડી આચરનારા લોકો IMEI નંબરને રીપ્રોગ્રામ પણ કરી દેતા હોય છે. જેના કારણે આજે બજારમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલનો ઉપયોગ થઇ રહ્યો છે.
CEIR પ્રોજેક્ટનો મુખ્ય હેતુ
- મોબાઇલ ફોન ચોરીને ઘટાડવા માટે ખોવાયેલ અથવા ચોરી થયેલ ફોનને તમામ નેટવર્ક પરથી બ્લોક કરવો
- ખોવાયેલો અથવા ચોરી થયેલા મોબાઇલ ફોનની જાણકારી મેળવવાની સુવિધા
- નેટવર્કમાં ડુપ્લિકેટ IMEI વાળા મોબાઇલ પર પ્રતિબંધ
- ચોરાયેલા મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવવો
કેવી રીતે નોંધાવવી ફરિયાદ
જો મોબાઈલ ખોવાઈ ગયો છે કે ચોરાઈ જાય તો તમારે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવાની હોય છે આ સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન(DoT)માં પણ એક ફરિયાદ કરવાની હોય છે. DoTનો હેલ્પલાઈન નંબર 14422 છે. તમે જેવી DoTમાં મોબાઈલ ફોન ચોરાયા/ખોવાઈ જવાની ફરિયાદ કરશો કે તરત જ આ વિભાગ તમારો ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ બ્લોક કરશે.
જ્યારે બીજી કોઈ અન્ય વ્યક્તિ તમારા મોબાઇલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર તેને ઓળખી જશે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે BSNL, Jio, Airtel, Vodafone, Idea વગેરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે સંપર્કમાં હોય છે.