આરજેડી નેતા તેજસ્વી યાદવે 15 વર્ષના લાલુ-રાબડીના શાસન દરમિયાન થયેલી ભૂલો બદલ ફરી એક વખત માફી માંગી હતી. આ અગાઉ 2 જુલાઇના રોજ એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કરતી વખતે તેજસ્વીએ આરજેડીના 15 વર્ષના શાસન દરમિયાન થયેલી ભૂલો માટે પહેલી વખત માફી માંગી હતી.
રવિવારે પક્ષના 24માં સ્થાપના દિવસ દરમિયાન કાર્યકરોને સંબોધન કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે અમે સ્વીકારીએ છે કે 15 વર્ષમાં તેઓ સરકારનો ભાગ નહોતા પરંતુ જો સરકાર તરફથી કોઈ ભૂલ થઇ હોય તો અમને માફ કરજો. જે નીડર છે તે જ માફી માંગે છે. જનતાએ પણ અમને સજા આપી છે અને 15 વર્ષ સુધી અમને વિપક્ષમાં બેસાડ્યા છે.
2035માં દિલ્હી જીતવાનું લક્ષ્ય
તેજસ્વીએ કહ્યું કે, જો આરજેડીના લોકો તૈયાર હોય તો 2035 સુધીમાં તેમની પાર્ટી દિલ્હી જીતી શકે છે. તેમણે કહ્યું કે, જો આરજેડીના લોકો એક થઈને લડશે તો કોઈની હિંમત નથી કે તેમને હરાવી શકે. તેજસ્વીએ એ વાત અંગે ચિંતા વ્યક્ત કરી કે તેમની પાર્ટીમાં ઘણા લોકો પાર્ટીના હિતો કરતાં વ્યક્તિગત હિતોને પસંદ કરે છે.
તેજસ્વીએ કહ્યું, "જે દિવસે અમારી પાર્ટીના લોકો થોડી ધીરજ બતાવશે, મતભેદને દૂર કરશે, વ્યક્તિગત હિત સિવાય, પક્ષના હિતમાં ઉભા રહેશે, તે દિવસે અમે દાવો કરીએ છીએ કે અમે દિલ્હીમાં 2035માં ધ્વજ લહેરાવીશું. એકવાર આરજેડીના પ્રામાણિક સૈનિકો જો એક થઈને ચૂંટણી લડશે, તો કોઈ અમને પરાજિત કરી શકશે નહીં.
મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર પ્રહાર કરતા તેજસ્વીએ સવાલ પૂછ્યો કે તેઓ તેમના 15 વર્ષના શાસનકાળ દરમિયાન રાજ્યમાં થયેલા તમામ કૌભાંડો માટે ક્યારે માફી માંગશે?
અત્યારે દેશને લાલુની સૌથી વધુ જરૂર છે: તેજસ્વી
તેજસ્વીએ કહ્યું કે લાલુ યાદવ માટે દેશ જે સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે તે સમયમાં બહાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે લાલુની સૌથી મોટી અછત આ સમયે સંસદમાં અનુભવાઈ રહી છે.
લાલુ એક વિચાર છે જે કદી ઝુકશે નહીં
તેજસ્વીએ કહ્યું કે, લાલુ યાદવે તેમના જીવનમાં જે બલિદાન અને કુરબાની આપી છે, તેનું 5% બલિદાન પણ જો આરજેડીના કાર્યકર્તાઓ આપે તો આગામી દિવસોમાં કોઈ આરજેડીને રોકી શકશે નહીં. તેજસ્વીએ કહ્યું, "લાલુએ તેમની નીતિ, સિદ્ધાંતો અને વિચારધારા સાથે ક્યારેય સમાધાન કર્યુ નહીં. લાલુ પટણામાં હોય કે રાંચી જેલમાં કેદ હોય પરંતુ લાલુ એક એવો વિચાર છે જે ક્યારેય ઝુકશે નહીં."
RJD ફક્ત મુસ્લિમ-યાદવોની પાર્ટી નથી
તેજસ્વીએ એમ પણ નકારી કાઢી હતી કે આરજેડી ફક્ત મુસ્લિમો અને યાદવની પાર્ટી છે. તેજસ્વીએ કહ્યું કે નવા જમાનાની આરજેડી એ ટુ ઝેડની પાર્ટી છે.