આઇપીએલની ૧૩મી સિઝનના લીગ રાઉન્ડની બહુ થોડી મેચ બાકી છે, પરંતુ હજુ સુધી પ્લેઓફમાં રમનારી ટીમનું સ્થાન નક્કી થયું નથી.
ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ ટૂર્નામેન્ટના ૪૮મા મુકાબલામાં આરસીબીને હરાવીને ૧૬ પોઇન્ટ સુધી પહોંચી ગઈ. બધાં કહે છે કે પ્લેઓફમાં મુંબઈનું સ્થાન પાકું થઈ ગયું છે, પરંતુ હવે અન્ય સમીકરણ પર નજર દોડાવીએ તો અન્ય ટીમના પણ ૧૬ પોઇન્ટ થઈ શકે છે. ગઈ કાલની જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સના ૧૬ પોઇન્ટ થઈ ગયા, પરંતુ અન્ય ચાર ટીમ પણ એવી છે, જે ૧૬ પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ છે કે કઈ અન્ય ત્રણ ટીમ અંતિમ ચારમાં પહોંચશે.
પ્લેઓફની દોડમાં પાંચ ટીમ
મુંબઈ ઇન્ડિયન્સ હાલ ૧૬ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. બાકીની અન્ય ત્રણ ટીમ-દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સાથે કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ પણ પ્લેઓફની રેસમાં છે જ. આ બધી ટીમ ૧૨ મેચ રમી ચૂકી છે અને બધી ટીમ પાસે બાકીની મેચ જીતીને ૧૬ પોઇન્ટ સુધી પહોંચવાની તક રહેશે.
પ્લેઓફનું સમીકરણ
આરસીબીના ૧૪ પોઇન્ટ છે અને વધુ એક મેચ જીતીને તે ૧૬ પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આરસીબીને હજુ દિલ્હી અને હૈદરાબાદ સામે રમવાનું છે. જો ટીમ દિલ્હી સામે હારી જાય અને હૈદરાબાદ સામે જીતી જાય તો તે ૧૬ પોઇન્ટ પર પહોંચી જશે. દિલ્હીને બેંગલુરુ અને મુંબઈ સામે રમવાનું છે. મતલબ બેંગલુરુ અથવા મુંબઈમાંથી કોઈ એકને હરાવીને દિલ્હી પણ ૧૬ પોઇન્ટ સુધી પહોંચી શકે છે.
સતત પાંચ મેચ જીતીને ૧૨ પોઇન્ટ સુધી પહોંચી ગયેલી પંજાબની ટીમે ચેન્નઈ અને રાજસ્થાન સામે રમવાનું છે. આ બંને મેચ જીતી લઈને પંજાબની ટીમ પાસે પણ ૧૬ પોઇન્ટ સુધી પહોંચવાની તક છે. જ્યારે કોલકાતાએ ચેન્નઈ અને રાજસ્થાન સામે પહોંચવાનું છે. જો બંને મુકાબલા ટીમ જીતી લે તો કોલકાતાના પણ ૧૬ પોઇન્ટ થઈ શકે.
૧૬ પોઇન્ટ મેળવ્યા પછી પણ ટીમ બહાર થઈ શકે
આ બધાં સમીકરણો પર આપણે નજર કરી તેના પરથી એવું લાગે છે કે પાંચ ટીમ ૧૬ પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં જે ટીમને નેટ રન રેટ સારો હશે તે ચાર ટીમની પ્લેઓફમાં ટિકિટ કન્ફર્મ થશે. મુંબઈ નેટ રન રેટના મામલે ટોચ પર છે અને આ જ કારણે તેનું સ્થાન હાલ પ્લેઓફમાં નક્કી માનવામાં આવી રહ્યું છે, જોકે મુંબઈ હવે બાકીની મેચમાં બહુ ખરાબ રીતે હારે તો તેના નેટ રન રેટમાં ગરબડ થઈ શકે છે. ૧૬ પોઇન્ટ સુધી પહોંચનારી અન્ય ચાર ટીમમાંથી કોઈ એક ટીમે જ બહાર જ થવું પડશે.