ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત આવ્યો છે. ત્યારે હવે ટીમ ઓપીએસ દ્વારા આજે પેનડાઉનનું એલાન કરાયું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે.
હવે ટીમ ઓપીએસ લડી લેવાના મૂડમાં
જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત
કર્મચારીઓ પેન ડાઉન કરી આજે કામ નહી કરે
ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, એસ.ટી વિભાગ, વનરક્ષક બાદ આશા વર્કર મહિલાઓનું વધુ આંદોલન સમેટાયું છે. ઉપરાંત વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યું છે. જેના કારણે માલધારી સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે હવે ટીમ OPSએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા સંકલિત રાજ્યમાં કાર્યરત તમામ NPS ધારકોને આવરી લેતાં મંચ ટીમ ઓપીએસ દ્વારા પેન દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તેમની માંગ છે કે NPSની સાપેક્ષ OPS (જૂની પેન્શન યોજના) પુનઃ લાગુ કરવામાં આવે.
27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ
જૂની પેન્શન યોજના અને ગ્રેડ-પે મુદ્દે આંદોલન યથાવત છે. ત્યારે ટીમ ઓપીએસ દ્વારા પેન ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પેનડાઉન કરીને આજે કામ નહીં કરે. આ ઉપરાત ટીમ ઓપીએસ દ્વારા 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ટીમ ઓપીએસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર અમારી માંગ નહીં સંતોષે તો તમામ કર્મચારીઓ 27 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.
આશા વર્કર બહેનોની માંગ સરકારની સહમતિ
એક દિવસમાં 4 આંદોલનનો અંત સુખદ અંત આવ્યો છે. જીતુ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવા લાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત આવ્યો છે. જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે,વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવું જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ અમે સ્વીકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે.
ST નિગમના કર્મચારીઓની 14માંથી 11 માંગ સ્વીકારી લીધી
મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.
માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે.'