ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે મેચ હારી ગઈ. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ભારત માટે બીજો મુકાબલો 'કરો યા મરો' સમાન બની જાય છે. આ સતત એવી ત્રીજી વન ડે શ્રેણી છે, જેમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ ગુમાવી છે. ભારતીય ટીમ હારથી શ્રેણીની શરૂઆત કર્યા બાદ ધમાકેદાર વાપસી કરવા માટે ક્રિકેટની દુનિયામાં જાણીતી છે. છેલ્લી બંને શ્રેણીમાં ભારતે આવું કરીને જ જીત હાંસલ કરી હતી. હવે આવતી કાલે ઓકલેન્ડના ઈડન પાર્કમાં શ્રેણીમાં બીજી વન ડે રમાશે, જેની શરૂઆત ભારતીય સમય પ્રમાણે સવારના 7.30 વાગ્યાથી થશે.
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે મેચ હારી ગઈ
ભારત માટે બીજો મુકાબલો 'કરો યા મરો' સમાન
ઓકલેન્ડના ઈડન પાર્કમાં શ્રેણીમાં બીજી વન ડે રમાશે
હેમિલ્ટન ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડે ભારતીય ચાહકોનાં દિલ તોડી નાખનારી હતી. 347 રનનો સ્કોર બનાવ્યા છતાં પણ ભારતીય ટીમ હારી ગઈ હતી. આ સતત એવી ત્રીજી વન ડે શ્રેણી છે, જેનો પહેલો મુકાબલો ભારતીય ટીમે ગુમાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે અગાઉની બંને શ્રેણીમાં પહેલી મેચ હારીને દબાણમાં આવ્યા બાદ ટીમની રમત વધુ નીખરે છે. ભારતે વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્રથમ મેચ હારી ગયા બાદ 2-1થી જીત મેળવી હતી.
વિન્ડીઝ સામે ગત ડિસેમ્બરમાં ત્રણ મેચની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. પહેલી મેચ આઠ વિકેટના મોટા અંતરથી હાર્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને બીજી મેચ 107 રનથી જીતી અને અંતિમ મેચ ચાર વિકેટથી જીતી લીધી હતી.
ટીમ ઇન્ડિયા ધમાકેદાર વાપસી કરશે
આ વર્ષે પ્રથમ વન ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. 10 વિકેટથી હાર્યા છતાં ભારતે બીજી અને ત્રીજી મેચ જીતી લઈને શ્રેણીમાં 2-1 વિજય હાંસલ કર્યો હતો. બીજો મુકાબલો 36 રનથી, જ્યારે ત્રીજો મુકાબલો સાત વિકેટે જીતી લીધો હતો. આમ, આંકડા કહે છે કે ન્યૂઝીલેન્ડ સામે પણ પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધમાકેદાર વાપસી કરશે અને ત્રણ મેચની શ્રેણી જીતી લેશે.
પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડે 348 રનના લક્ષ્ય પૂરો કર્યો
ટીમ ઇન્ડિયાના હાલના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન જોરદાર મુકાબલા રમાઈ રહ્યા છે. ટી-ટ્વેન્ટી શ્રેણીમાં બે મેચ ટાઇ થઈ હતી અને મેચનું પરિણામ સુપર દ્વારા નક્કી થયું હતું. પ્રથમ વન ડેમાં પણ ન્યૂઝીલેન્ડે 348 રનના વિશાળ લક્ષ્યનો પીછો સફળતાપૂર્વક કર્યો હતો.
ઓકલેન્ડનો રેકોર્ડઃ
ઓકલેન્ડમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ નવ મેચ રમી છે, જેમાંથી ચારમાં વિજય મેળવ્યો છે અને ચારમાં પરાજય થયો છે, જ્યારે એક મેચ ટાઇમાં પરિણમી છે. આ નવ મેચમાંથી એક મેચ ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે જીતી છે. આમ, ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ત્રણ મેચમાં જ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ન્યૂઝીલેન્ડ 2014માં ટીમ ઇન્ડિયા રમી હતી, જે મેચ ટાઇ થઈ હતી.