ટી-20નું કેપ્ટન પદ છોડવા સમયે મને કોઈએ અટકાવ્યો ન હતો
ગાંગુલીના નિવેદન પર ઉઠ્યા સવાલ !
વિરાટ કોહલીએ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનને ખોટુ ગણાવ્યું. દાદાએ કહ્યું હતુ કે મેં વિરાટ કોહલીને ટી-20 ફોર્મેટનું સુકાન છોડવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, કોહલીએ ખુલાસો કર્યો કે તેમને કોઈએ ક્યારેય પણ ટી-20નું કેપ્ટન પદ છોડવા માટે અટકાવ્યા નહોતા. તો હવે આ વાતને લઇને ગાંગુલી પર સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે તેમણે ખોટું કેમ કીધુ?
કોહલી પર કડક પગલા ભરવાથી બચવા માગે છે BCCI?
વિરાટ કોહલી ભારતીય ટીમની સાથે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. જ્યાં તેઓ ત્રણ ટેસ્ટ મેચ અને આટલા મેચની વન-ડે સીરીઝ પણ રમવાના છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ જાહેર નિવેદન આપશે નહીં. વિરાટ કોહલીની તોફાની પત્રકાર પરિષદથી સ્તબ્ધ BCCI આ સંકટમાંથી બહાર આવવા માટેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. BCCI એવુ પણ નક્કી કરશે કે મેદાનની બહારના નાટકીય ઘટનાક્રમથી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી પહેલા ટીમનું ધ્યાન ભંગ ના થાય.
ગાંગુલી-કોહલી વચ્ચે મતભેદ
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન દક્ષિણ આફ્રિકા રવાના થતાં પહેલા પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું હતુ કે તેમને ક્યારેય પણ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવા માટે કહેવામાં આવ્યું નથી. તેમનું આ નિવેદન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનથી વિપરીત હતુ. જે તેમણે મીડિયામાં આપ્યું હતુ. ભૂતકાળમાં આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળ્યાં છે, જ્યાં ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર અને વર્તમાન કેપ્ટન તથા અધ્યક્ષ પદ પર બિરાજમાન પૂર્વ કેપ્ટનના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હોય.