વર્ષ 2007ની ચેમ્પિયન ભારતીય ટીમનું ટી-20 વર્લ્ડકપ જીતવાનું સપનું ફરી એક વાર અધૂરું રહી ગયું.
ભારત ખાલી હાથે આવ્યું પરત
સવાલોના જવાબ હજુ નથી મળ્યા
પહેલીવાર ભારત સેમી ફાઇનલમાં ન પહોંચ્યું
અફઘાનિસ્તાન સામે જીત સાથે જ ન્યૂઝીલેન્ડે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું અને વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમને બહારનો રસ્તો દેખાડી દીધો.
ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલાં કોઈએ એવં કહ્યું હોત કે ભારત સેમિફાઇનલમાં નહીં પહોંચે તો કદાચ બધાને ખોટું લાગત, પરંતુ હવે ખરેખર આવું બન્યું છે. જે ટીમને ખિતાબની સૌથી મોટી દાવેદાર માનવામાં આવતી હતી તે પોતાની જ યજમાનીવાળી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે. એવા ઘણા સવાલો છે, જેના જવાબ લીધા ટીમ ઇન્ડિયા દુબઈથી ખાલી હાથે પાછી ફરી છે. ટીમનાં કંગાળ પ્રદર્શન માટે કારણો તો ઘણાં હોઈ શકે, પરંતુ આજે અહીં મહત્ત્વપૂર્ણ કારણ પર નજર કરીએ.
શરૂઆતની બંને મેચમાં સંપૂર્ણ નિષ્ફળતા
ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને એકતરફી માત આપી હતી, પરંતુ જ્યારે ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં રમવા ઊતરી તો અચાનક જ જાણે કે ગુમ થઈ ગઈ. ટીમમાં મોટાં મોટાં નામ હોવા છતાં પાકિસ્તાન સામે વિરાટ કોહલીને બાદ કરતાં એક પણ ભારતીય બેટર પાકિસ્તાની બોલર્સ સામે ક્રીઝ પર ટકી શક્યો નહીં. ત્યાર બાદ બોલિંગની વાત આવી તો દુનિયાના સૌથી ખતરનાક બોલર્સમાંના એક કહેવાત જસપ્રીત બૂમરાહના નેતૃત્વવાળું બોલિંગ આક્રમણ પણ એક પાકિસ્તાની બેટરને આઉટ કરી શક્યું નહીં. ન્યૂઝીલેન્ડ સામે પણ કંઈક એવું જ થયું. કિવી સામે બૂમરાહે બે વિકેટ જરૂર ઝડપી, પરંતુ બધા જ વિભાગોમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારે પડી. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન સામે ૧૦ વિકેટે અને ન્યૂઝીલેન્ડ સામે આઠ વિકેટે ભારતનો કારમો પરાજય થયો. એ સમયે જ ભારતીય ટીમનું સેમિફાઇનલની રેસમાંથી બહાર નીકળવું નક્કી થઈ ગયું હતું.
હાર્દિક પંડ્યા બોજ બન્યો
ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં હાર્દિક પંડ્યાની એ જ શરતે પસંદગી કરવામાં આવી હતી કે તે બોલિંગ પણ કરશે, પરંતુ શરૂઆતની બંને મેચમાં એવું બન્યું નહીં. આ બાબત સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે સૌથી મોટી ચર્ચાનો વિષય બનવા ઉપરાંત કોમેન્ટ્રેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોએ પણ હાર્દિક અંગે ઘણા સવાલો ઉઠાવ્યા. પાકિસ્તાન સામે વિરાટ કોહલીને એક વધારાનો બોલર મળી શકે તેમ હતો, જેની કંઈક જુદી અસર જોવા મળી શકી હોત, પરંતુ એવું બન્યું નહીં. બાદની મેચોમાં હાર્દિકે થોડી બોલિંગ કરી, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં.
પ્લેઇંગ ઈલેવન અને બેટિંગ ક્રમ પર સવાલ
હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વરકુમારને પ્લેઇંગ ઈલેવનમાં સમાવવા સામે સવાલો ઊઠ્યા તો ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્માને ઓપનિંગમાં ના મોકલવાના નિર્ણયની પણ ચોતરફ આકરી ટીકા થઈ. જો આઇડિયા સફળ થયો હોત તો સવાલો ઓછા પુછાત, પરંતુ ઈશાન કિશન ખાસ કંઈ ઉકાળી શક્યો નહીં અને ફેરફારના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવેલાે શાર્દુલ ઠાકુર પણ પરફોર્મ કરવામાં નિષ્ફળ રહ્યો.
નામ મોટાં અને દર્શન નાનાં
એમાં કોઈ શંકા નથી કે ટીમ ઇન્ડિયામાં એક-એકથી ચડિયાતાં નામ છે. કે. એલ. રાહુલે આઇપીએલ-૨૦૨૧માં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્માના આંકડા અને રેકોર્ડ ઘણી આંતરરાષ્ટ્રીય ટીમો કરતાં પણ વધુ સારા છે. જસપ્રીત બૂમરાહ, મોહંમદ શામી અને રવીન્દ્ર જાડેજા એકલા હાથે ટીમને વિજયી બનાવવા સક્ષમ છે. ઓવરઓલ ટીમ પર નજર કરીએ તો જોઈ શકાશે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે આ મોટાં નામનાં દર્શન બહુ નાનાં જોવા મળ્યાં. ટી-૨૦ કેપ્ટન તરીકે પોતાની અંતિમ ટૂર્નામેન્ટ રમી રહેલો વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે આ ટૂર્નામેન્ટ હંમેશાં ખરાબ સપનું બની રહેશે.
જાગ્યા ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું
બે મેચમાં શરમજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ જાગી, પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હતું. ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને 66 રને પરાજય આપ્યો. ત્યાર બાદ સ્કોટલેન્ડને 6.3 ઓવરમાં આઠ વિકેટે માત આપી, પરંતુ એનો કોઈ ફાયદો થયો નહીં. અસલમાં ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે જરૂરી હતું કે ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાન જીતી જાય. આ સ્થિતિમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના 6-6 પોઇન્ટ થઈ જાત. ભારત પોતાની અંતિમ લીગમાં નામીબિયા સામે જીત મેળવીને વધુ સારા રનરેટ સાથે સેમિફાઇનલમાં પહોંચી જાત, પરંતુ અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડે મેચ જીતી લઈને આઠ પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચવામાં સફળતા મેળવી. એક રીતે જોવામાં આવે તો આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સામે ઘણા એવા સવાલો ઊભા થયા છે, જેનો જવાબ લીધા વિના જ ટીમ ઇન્ડિયા દુબઈથી ખાલી હાથે પાછી ફરી છે.