બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદે એ વાતની જાહેરાત કરી દીધી છે કે તેઓ હવે રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરશે. બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદે એ વાતની જાહેરાત કરી દીધી છે કે તેઓ હવે રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરશે.
ઘણા સમયથી ભારતના ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન કે. એલ. રાહુલની ટીકા થઈ રહી હતી. કે. એલ. રાહુલ ઘણા લાંબા સમયથી ભારતની ટેસ્ટ ટીમનો હિસ્સો છે, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમવામાં સતત નિષ્ફળ જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે ટીમને સારી શરૂઆત અપાવી શક્યો નથી. એટલે સુધી કે તાજેતરમાં જ વિન્ડીઝ સામે લોકેશ રાહુલ ચાર ઇનિંગ્સમાં માત્ર ૧૦૧ રન જ બનાવી શક્યો હતો. આ સ્થિતિમાં ભારતના પસંદગીકારોએ પણ રાહુલનો વિકલ્પ શોધવાનું શરૂ કરી દીધું.
બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદે એ વાતની જાહેરાત કરી દીધી છે કે તેઓ હવે રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરશે. રાહુલે છેલ્લી ૧૨ ઇનિંગ્સ ફક્ત એક અર્ધસદી ફટકારી છે. બીજી બાજુ વન ડે અને ટી ૨૦ ટીમના વાઇસ કેપ્ટન અને સૌથી વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ટેસ્ટ ટીમનો હિસ્સો હોવા છતાં અંતિમ ઈલેવનમાંથી બહાર રહે છે. આ સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ રોહિત શર્મા પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ કરાવવા માની ગયું છે.
પ્રસાદે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, ''સિલેક્શન કમિટી તરીકે અમે વિન્ડીઝના પ્રવાસ બાદ મળ્યા નથી. હવે જ્યારે પણ પસંદગીકારોની બેઠક મળશે ત્યારે અમે આ બાબત (રોહિત શર્માને ટેસ્ટ ઓપનર)ને કન્સીડર કરીશું.'' જોકે પ્રસાદે રાહુલનો બચાવ કરતાં કહ્યું, ''રાહુલ પાસે ટેલેન્ટ છે, પરંતુ હાલ તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અમે તેના ફોર્મ અંગે ચિંતિત છીએ. રાહુલે વિકેટ પર ટકવું પડશે અને ગુમાવેલું ફોર્મ પાછું મેળવવું પડશે.''
પ્રસાદની આ ટિપ્પણી પરથી એવું લાગી રહ્યું છે કે રોહિત શર્મા ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ઓપનિંગ કરી શકે છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં મોટા ભાગે મિડલ ઓર્ડરમાં રમે છે. રાહુલ, શિખર અને મુરલી વિજય જેવા ખેલાડી ઇનિંગ્સની સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી રોહિત પાસે ટેસ્ટ ક્રિકેટમાં ખુદને સાબિત કરવાની સોનેરી તક છે.
દ. આફ્રિકાની ટીમ ધર્મશાલા પહોંચી
ભારત સામે આગામી રવિવારે ટી ૨૦ શ્રેણીનો મુકાબલો રમવા માટે દક્ષિણ આફ્રિકાની ટીમ ધર્મશાલા પહોંચી ગઈ છે. ગઈ કાલે બપોરે ૩.૪૫ વાગ્યે ટીમ ગગલ સ્થિત કાંગડા એરપોર્ટ પહોંચી. અહીંથી મહેમાનોને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ બે ખાસ બસ દ્વારા એચપીસીએની હોટેલ 'ધ પવેલિયન' લઈ જવામાં આવ્યા હતા. આજે સાંજે દક્ષિણ આફ્રિકાની ટીમ ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમના નવા ખેલાડીઓને આગામી પાંચ દિવસ સુધી પીચના મિજાજ અને વાતાવરણની જાણકારી મળી શકશે.