ભારતીય ક્રિકેટ ટીમે ૨૦૨૩ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં આઠ વિકેટે જીત મેળવીને શ્રેણી પર કબજો જમાવી દીધો છે. ભારતનો કિવિઝ ટીમ સામેનો આ સતત સાતમો શ્રેણી વિજય છે. ભારતના પ્રવાસ પર આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ વર્ષ ૧૯૮૮, ૧૯૯૫, ૧૯૯૯, ૨૦૧૦, ૨૦૧૭ અને હવે ૨૦૨૩માં પણ સીરિઝ હારી ચૂકી છે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ નવા વર્ષમાં શ્રીલંકા સામે ટી-૨૦ શ્રેણી બાદ વન ડે શ્રેણી પર પણ ૩-૦થી કબજો કરી લીધો છે. ટીમ ઇન્ડિયાની શ્રીલંકા સામે ઘરઆંગણે આ સતત ૧૦મી વન ડે શ્રેણી જીત છે એટલે કે ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે ક્યારેય ઘરઆંગણે વન ડે શ્રેણીમાં હારી નથી.
ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને હરાવી પહેલો પડાવ પાર કરી લીધો
આ વર્ષે ભારતમાં વન ડે વિશ્વકપનું આયોજન થવાનું છે. બધી ટીમ હાલ વિશ્વકપની તૈયારીઓ કરી રહી છે. ભારતે પણ એ દિશામાં મજબૂતીથી ડગ માંડ્યાં છે. ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને હરાવી પોતાનો પહેલો પડાવ પાર કરી લીધો છે. ટીમ ઇન્ડિયાને ભારતની ધરતી પર હરાવવી આસાન વાત નથી. ટીમ ઇન્ડિયાએ ભારતી ધરતી પર ૨૦૧૧માં રમાયેલો વન ડે વર્લ્ડકપ પણ પોતાના નામે કર્યો હતો. ટીમ ઇન્ડિયા જાન્યુઆરી-૨૦૧૦થી ઘરઆંગણે ૨૬ વન ડે શ્રેણી રમી છે અને એ દરમિયાન ટીમે ૨૩ શ્રેણી પર કબજો જમાવ્યો છે.ટીમ ઇન્ડિયાને ૨૦૧૦થી ઘરઆંગણે માત્ર ત્રણ વન ડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ડિસેમ્બર-જાન્યુઆરી ૨૦૧૨-૧૩માં ભારતને વન ડે શ્રેણીમાં ૨-૧થી પરાજય આપ્યો હતો, જ્યારે ઓક્ટોબર-૨૦૧૫માં દક્ષિણ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને ભારતની ધરતી પર ૩-૨થી માત આપી હતી. માર્ચ-૨૦૧૯માં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ૩-૨થી પરાજિત કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ભારતની જીતની ટકાવારી ૮૮ ટકા રહી છે. ભારતે પહેલી વાર ઘરઆંગણે શ્રીલંકન ટીમની યજમાની ૧૯૮૨માં કરી હતી.
ભારતે ૧૯૮૬માં પાંચ મેચની વન ડે શ્રેણી ૪-૧થી પોતાના નામે કરી
ત્યારે ત્રણ મેચની શ્રેણી યજમાન ટીમે ૩-૦થી જીતી હતી. ત્યાર બાદ ભારતે ૧૯૮૬માં પાંચ મેચની વન ડે શ્રેણી ૪-૧થી પોતાના નામે કરી હતી. ૧૯૯૦માં રમાયેલી ત્રણ મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાએ ૨-૧થી જીતી હતી.ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૯૯૪માં રમાયેલી ત્રણ મેચની શ્રેણી ભારતે ૨-૧થી જીતી હતી. ૧૯૯૭માં રમાયેલી શ્રેણી ૧-૧થી ડ્રો રહી હતી. ૨૦૦૫માં સાત મેચની વન ડે શ્રેણી પર ભારતે ૬-૧થી કબજો જમાવી દીધો હતો.ટીમ ઇન્ડિયાએ ૨૦૦૭માં પોતાની યજમાનીમાં ચાર મેચની વન ડે શ્રેણીમાં શ્રીલંકાને ૨-૧થી પરાજય આપ્યો હતો, જ્યારે ૨૦૦૯માં પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ૨૦૧૪માં ભારતે શ્રીલંકાને ૫-૦થી રગદોળી નાખ્યું હતું. ૨૦૧૭માં ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી હતી.આ પહેલાં ભારતે છેલ્લે ૨૦૨૨માં દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ૨-૧થી પરાજય આપ્યો હતો. ભારતે ઘરઆંગણે ગત વર્ષે ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝને ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ૩-૦થી હરાવી દીધું હતું, જ્યારે ૨૦૨૧માં ઈંગ્લેન્ડને ૨-૧થી માત આપી હતી.