વન-ડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓમાં જોડાયેલી ભારતીય ટીમની સામે અનેક પ્રકારના પડકારો છે. એક મોટો પડકાર એવો પણ છે કે આટલા મોટા પૂલમાં કેવીરીતે સારા 11 ખેલાડીઓને પસંદ કરવામાં આવે. આ પ્રક્રિયામાં ઘણા ખેલાડીઓને તક મળી રહી નથી, જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે.
ભારતીય ટીમની સામે અનેક પ્રકારના પડકારો
ભારતીય ટીમનુ આ તે કેવુ સંકટ !
100, 200 અને 300 રન ફટકારનારા બેટર ટીમમાં જ નહીં
ભારતીય ટીમની પ્લેઈંગ-11 પર સવાલ ઉભા થયા
ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા સામે વન-ડે સીરીઝ રમી રહી છે. ગુવાહાટીમાં થયેલી પહેલી મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત નોંધાવી. આ મેચમાં વિરાટ કોહલીએ 113 રનન ઈનિંગ રમી અને વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરી. પરંતુ ભારતીય ટીમની પ્લેઈંગ-11 પર સવાલ ઉભા થયા હતા, કારણકે ફોર્મમાં રમી રહેલા સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને જગ્યા નહોતી મળી.
આ ત્રણેય ખેલાડી પ્લેઈંગ-11માં જગ્યા બનાવવા કરી રહ્યાં છે સંઘર્ષ
બંને ખેલાડી ખાસ છે, કારણકે સૂર્યાએ પોતાની પહેલાની મેચમાં સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશને પોતાની પહેલાની મેચમાં બેવડી સદી ફટકારી હતી. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયુ છે પૃથ્વી શોનુ, જેણે રણજી ટ્રોફીમાં રેકોર્ડ 379 રનની ઈનિંગ રમી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ ત્રણેય ખેલાડી ભારતીય ટીમની પ્લેઈંગ-11માં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
સૂર્યકુમાર યાદવ: વર્ષ 2022માં ટી-20 ક્રિકેટમાં ધમાલ મચાવનારા સૂર્યકુમાર યાદવે આ વર્ષથી પણ ધમાકેદાર શરૂઆત કરી. શ્રીલંકા સામે રમાયેલ ટી-20 સીરીઝમાં સૂર્યકુમાર યાદવે આક્રમક સદી ફટકારી. સૂર્યાએ રાજકોટમાં યોજાયેલ ટી-20 મેચમાં 112 રનની ઈનિંગ રમી, પરંતુ ત્યારબાદ વન-ડે સીરીઝ શરૂ થઇ અને પહેલી મેચમાં તેમને પ્લેઈંગ-11માં જગ્યા ના મળી.
ઈશાન કિશન: શ્રીલંકા શ્રેણી માટે વિકેટ કીપર તરીકે બેટર ટીમની સાથે જોડાયેલા ઈશાન કિશનને પહેલી મેચમાં પ્લેઈંગ-11માં જગ્યા નહોતી મળી. આ ત્યારે થયુ જ્યારે બાંગ્લાદેશ સામેની સમાપ્ત થયેલી સીરીઝની અંતિમ મેચમાં તેમણે બેવડી સદી ફટકારી હતી ત્યારે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે ઈશાનને બેટર તરીકે ટીમમાં જગ્યા મળી હતી અને તેમણે 210 રનની ધુંઆધાર ઈનિંગ રમી હતી.
પૃથ્વી શો: છેલ્લાં આશરે બે વર્ષથી ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઇ રહેલા પૃથ્વી શૉ સતત રન બનાવી રહ્યાં છે. હવે રણજી ટ્રોફીમાં બુધવારે તેમણે કમાલ કરી. જ્યારે મુંબઈ માટે રમતા આસામની સામે તેમણે 379 રનની ઈનિંગ રમી. પરંતુ 23 વર્ષના પૃથ્વી શોની ચિંતાનો વિષય એ છે કે તેઓ છેલ્લાં બે વર્ષથી ટીમમાં વાપસીનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેમના માટે જગ્યા બની રહી નથી.