વેસ્ટ ઈન્ડીઝ સામે 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારી પ્રથમ વન-ડે ઘણા તબક્કે ઐતિહાસિક થશે. ભારતીય ક્રિકેટ છેલ્લાં ઘણા મહિનામાં ફેરફાર કરી રહી છે અને હવે ભારતીય ટીમનું સુકાન એક નવા કેપ્ટનના હાથમાં છે. રોહિત શર્મા ટી-20, વન-ડેના ફૂલટાઈમ કેપ્ટન બન્યાં બાદ પહેલી વખત કોઈ સીરીઝમાં ભારતીય ટીમની આગેવાની કરશે.
અમદાવાદમાં યોજાનારી પ્રથમ વન-ડે હશે ઐતિહાસિક
વેસ્ટ ઈન્ડીઝ સામે 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે
કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમની કરશે આગેવાની
ભારતની આ 1000મી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ હશે
બીજી મહત્વની વાત એ છે કે ભારતની આ 1000મી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ હશે. ટીમ ઈન્ડિયા આ સિદ્ધી લેનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ હશે. એવામાં રોહિત શર્માનું નામ ઈતિહાસમાં નોંધાય તો કોઈ નવાઈ નહીં. કારણકે તેઓ આ ટીમના કેપ્ટન છે.
કઈ ટીમે સૌથી વધુ વન-ડે મેચ રમી
ભારત- કુલ મેચ 999, જીત 518, હાર 431
ઓસ્ટ્રેલિયા- કુલ મેચ 958, જીત 581, હાર 334
પાકિસ્તાન- કુલ મેચ 936, જીત 490, હાર 417
ભારતે પ્રથમ વન-ડે મેચ 1974માં રમી હતી
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે પોતાની પ્રથમ વન-ડે મેચ વર્ષ 1974માં રમી હતી. ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમ હારી હતી ત્યારે 60 ઓવરની વન-ડે મેચ હતી. આજે ભારતીય ટીમની ગણતરી દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમમાં થાય છે.
વેસ્ટ ઈન્ડીઝની સામે રચાશે ઈતિહાસ
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ બે વર્લ્ડ કપ મિશનની શરૂઆત કરવા જઇ રહી છે. આ વર્ષના અંતમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. જ્યારે આગામી વર્ષની શરૂઆતમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. બંનેના કેપ્ટન રોહિત શર્મા છે. એવામાં તેમના અસલી મિશન પર કામ શરૂ થશે. દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે રમી શક્યા નહોતા. તેથી તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 0-3થી શ્રેણી હારી ગઇ હતી.