xગાંધીનગરઃ પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોએ રાજય સરકાર સામે મોરચો માંડ્યો છે. જેના પગલે આજે ગાંધીનગર ખાતે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરશે. ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રામધૂન યોજી ધરણાં કરશે. પગાર સહિતની પડતર માંગણીઓને લઈને શિક્ષકો વિરોધ પ્રદર્શનની સાથે ધરણાં યોજશે.
જેમાં જિલ્લાના તમામ શિક્ષકો જોડાશે. આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયકોને ન જોડાવવાનો આદેશ કરવા સરકારે તમામ DEOઓને પરિપત્ર જાહેર કર્યો છે. જેને લઈને શિક્ષક મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે. ગુજરાતના 7 હજારથી વધુ શિક્ષકોએ 23 જૂન સુધી કાળી પટ્ટી પહેરીને સ્કૂલોમાં શિક્ષણકાર્ય કરી વિરોધ કર્યો હતો. પગાર વધારો અને ભથ્થા આપવાની શિક્ષકોની માગ છે.
ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છે કે રાજ્ય સરકારે ગત વર્ષે 2017માં જાન્યુઆરીમાં રાજ્યના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો. પરતું હજુ સુધી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને પગાર મળ્યો નથી.
સરકારે માધ્યમિકના શિક્ષક સહાયકોને 6 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયકોને 12 ઓછો પગાર વધારો આપ્યો છે. નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની જાહેરાત કર્યાને દસ મહિના થઈ જવા છતાં પગાર વધારો આપ્યો નથી.
ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં હજુ 4 હજાર શિક્ષકોની ભરતી કરાઈ નથી. નિવૃતી આકસ્મિક મૃત્યુથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવાની શિક્ષકોની માગ છે.
સળગતા સવાલઃ
કેમ હજુ ઉ.મા.શિક્ષકોના પડતર પ્રશ્નોનો નિકાલ થયો નથી? - સરકારે હજુ કેમ પડતર પ્રશ્નોનું નિરાકરણ કર્યુ નથી? - સરકારે પગાર વધારો ભથ્થાની કેમ ચૂકવણી કરી નથી? - નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની કરી હતી જાહેરાત - 10 મહિના વિતી ગયા છતાં પગાર કેમ આપ્યો નથી? - જાહેરાત કરનારી સરકાર અમલ કરવામાં કેમ પાછળ? - 4 હજાર ખાલી પડેલી શિક્ષકોની ભરતી હજુ કેમ કરાઈ નથી? - કયારે ખાલી પડેલી શિક્ષકોની ભરતી કરાશે? - ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને ન્યાય મળશે? - શિક્ષણમંત્રી રાજય સરકાર શિક્ષકોનો ઉકેલ લાવશે?