આજે રાજ્યના 445 કેન્દ્રો પર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-1)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે.
રાજ્યમાં આજે યોજાશે TET-1 ની પરીક્ષા
રાજ્યમાં 445 કેન્દ્રો પરથી લેવાશે પરીક્ષા
6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે TETની પરીક્ષા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આજે એ ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતભરમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ-1)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આજે રાજ્યના 445 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. મહત્વનું છે કે, શિક્ષક બનવા માટે ફરજિયાત TETની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે.
બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ
રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવાની છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થશે.
સમગ્ર રૂટ પર રખાશે નજર
આ ટેક્નોલોજી મારફતે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી તમામ શહેર અને વર્ગખંડ સુધી જીપીએસ સિસ્ટમના દાયરામાં પહોચશે. પ્રશ્નપત્રના સમગ્ર રૂટ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન મારફતે નજર રખાશે. એટલું જ નહીં સ્ટ્રોંગ રૂમથી પ્રશ્નપત્ર નીકળે ત્યારે અને કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધીના ફોટોગ્રાફ પણ એપ્લિકેશનમાં અપલોડ થશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
445 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા
આ અંગે માહિતી આપતા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રકાશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની રાહ જોતા હતા. શિક્ષક બનવા માટે TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET-1 રવિવાર (16 એપ્રિલ, 2023)એ યોજાવાની છે. રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા 445 કેન્દ્રો પર લેવાશે. જેમાં અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
તેમણે જણાવ્યું હતું કે, ટેટ-1ની પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓનો કુલ 10થી 12 હજારનો સ્ટાફ પરીક્ષા દરમિયાન હાજર રહેશે. કલેક્ટર અને વહિવટી વિભાગે દરેક કેન્દ્ર માટે ઓબ્ઝર્વર અને સુપરવાઈઝર નિમ્યાં છે. પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ ઉમેદવારો કે અન્ય કોઈપણ વ્યક્તિ મોબાઈલ, કેલ્ક્યુલેટર, ઉપરાંત ડિજિટલ ઉપકરણોની સાથે કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.